Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

બે ભાઇને ઉડાવનાર BRTS ડ્રાઇવરને જામીન આપવાની ના

ડ્રાઇવરને જામીન આપવાનો કોર્ટનો સાફ ઇન્કાર : ડ્રાઇવર ચિરાગના ગુનાની ગંભીરતા જોતાં તેને હળવાશથી લઇ શકાય તેમ નથી : સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ તારણ

અમદાવાદ, તા.૫ : શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસ ફુલસ્પીડમાં હંકારી બાઇક પર જઇ રહેલા બે સગા ભાઇઓને ઉડાવી તેઓનું મોત નીપજાવવાના રાજયભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર કેસમાં આરોપી બીઆરટીએસ બસના આરોપી ડ્રાઇવર ચિરાગ પંકજભાઇ પ્રજાપતિની જામીન અરજી આજરોજ એડિશનલ સેસન્સ જજ વી.જે.કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે બીઆરટીએસ બસના આરોપી ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને જામીન આપવાનો સાફ ઇનકાર કરી તેમની જામીનઅરજી ફગાવતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું. સેશન્સ કોર્ટે ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપી ડ્રાઇવરના ગુનાની ગંભીરતા જોતાં તેને સહેજપણ હળવાશથી લઇ શકાય તેમ નથી. પ્રસ્તુત કેસમાં બે નિર્દોષ અને સગા ભાઇઓના કરૂણ મોત નીપજયા છે. જો આરોપીને જામીન પર મુકત કરાય તો ફરીથી આવો ગુનો કરે તેવી દહેશત નકારી શકાય તેમ નથી.

              વળી, ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે જો આરોપીને જામીન અપાય તો, તપાસને અસર થવાની દહેશત પણ નકારી શકાય તેમ નથી અને સમાજમાં પણ ખોટો મેસેજ જાય તેમ છે. સમાજમાં દિન પ્રતિદિન આ પ્રકારના અકસ્માતના ગંભીર ગુનાઓ બનતા રહે છે અને કોઇને કાયદાનો ડર ન રહે અને ટ્રાફિકના નિયમોનું કોઇ પાલન ના કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ હોઇ આવા ગુનાને અટકાવવા અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ જળવાઇ રહે અને સામાજિક જીવનમાં લોકો નિયમોનુસાર વાહનો ચલાવે તેવી સરકારપક્ષની દલીલ ધ્યાનમાં લેતાં તપાસના ભોગે હાલના તબક્કે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. બીઆરટીએસ બસના આરોપી ડ્રાઇવર ચિરાગ પંકજભાઇ પ્રજાપતિની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી ડ્રાઇવરે બનાવના દિવસે પોતાની બીઆરટીએસ બસ સીગ્નલ પર ઉભી રાખી ન હતી અને સીગ્નલ ખુલવાની ૩૦થી ૩૨ સેકન્ડના સમયની વાર હોવાછતાં જાણીજોઇને બસ કોઇની જીંદગી જોખમાય તે રીતે પૂરઝડપે અને ગંભીર બેદરકારીપૂર્વક ચલાવી બાઇક પર જઇ રહેલા ફરિયાદીના બે સગા પુત્રો જયેશ હીરાભાઇ રામ(ઉ.વ.૨૪) અને નયન હીરાભાઇ રામ(ઉ.વ.૨૮)ની બાઇકને ટક્કર મારી ઉડાવ્યા હતા.

             જેના કારણે બંને સગા ભાઇઓને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. આઘાતજનક વાત તો એ છે કે, આટલો ગંભીર અને જીવલેણ અકસ્માત સર્જયા બાદ પણ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. પ્રસ્તુત કેસમાં બે સગા ભાઇઓના કરૂણ મોત નીપજયા છે અને એક પરિવાર અકલ્પનીય પારાવાર આઘાત અને યાતના સહન કરવા મજબૂર બન્યો છે. ત્યારે આરોપી વિરૂધ્ધના સાપરાધ મનુષ્ય વધના ગંભીર ગુનાને જોતાં તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. કોર્ટે આકરા વલણ સાથે આરોપી ડ્રાઇવરની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ચિરાગ પ્રજાપતિની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.

(8:01 pm IST)