Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સ્વસ્થ ખોરાક અંગેની જનજાગૃતિ અર્થે સ્વસ્થ ભારત યાત્રાના ઉપક્રમે સ્વસ્થ ભારત મેળો" યોજાયો

રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા: વપરાયેલ કુકિંગ ઓઇલ એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના શરૂ કરવાની નેમ: ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત: સ્વસ્થ અને નીરોગી જીવન માટે જન જાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે: રાંધણ તેલ અંગેની એપ્લીકેશન આર.યુ.સી.ઓ. લોન્ચ કરી : આર.યુ.સી.ઓ. અને એફ.ડી.સી.ઓ વચ્ચે ઓમ.ઓ.યુ થયા

         અમદાવાદ :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

         આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રીયુઝ્ડ કુકિંગ ખાદ્ય તેલ  વેપારીઓ પાસેથી એકઠું કરીને એમાંથી બાયો ડીઝલ બનાવવા માટે રુકો  (રિયુઝ ઓફ કુકિંગ ઓઇલ સોફ્ટવેર બાયોડિઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા)  દ્વારા બનાવવામાં આવ્યું છે. 

         રાજ્યમાંથી આવું  વપરાયેલ કુકિંગ ઓઇલ  એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના  શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

         આ હેતુસર શરૂઆતના તબક્કે એક મોબાઈલ વેન ફરતી કરીને આવા બળેલા રીયુઝ કુકિંગ તેલને એકઠું કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત કરતા કહ્યું કે, વધુ પડતો તેલનો ઉપયોગ ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે પરંતુ  આજના સ્ટ્રેસ અને ફાસ્ટ લાઈફના યુગમાં એના કારણે કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ, લીવર, સ્વાદુપિંડના રોગો  વધે છે.  હવે સ્વસ્થ અને નીરોગી જીવન માટે જન જાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે.

         વિજયભાઈએ 2022 માં દેશની  આઝાદીના 75 વર્ષ થાય ત્યારે  ભારત સ્વસ્થ,  સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર તરીકે જગત ગુરુ બને તેવી વડાપ્રધાનની સંકલ્પનામાં આ યાત્રા અને સ્વસ્થ ભારત મેળાથી સૌ દેશવાસીઓ જોડાય તેવું આહવાન કર્યું હતું.

         તેમણે કહ્યું કે, એક સંશોધન અનુસાર છેલ્લા વીસ વર્ષમાં આપણા દૈનિક કેલેરીના વપરાશમાં ૪૦૦ કેલેરીનો વધારો થયો છે. તેની સામે દૈનિક વપરાશ ૧૦૦ કેલેરી જેટલો ઘટ્યો છે.

          ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા વીસ વર્ષમાં રેસ્ટોરન્ટ, ફાસ્ટફુટ અને જોઈન્ટ્સની સંખ્યામાં ૧૦૦ ગણો વધારો થયો છે. ઉપવાસમાં પણ જાતભાતનાં ફરાળી ખોરાક લેવાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

         રુકો અને એફ.ડી.સી.એ. વચ્ચે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એમ.ઓ.યુ. થયા હતા મુખ્યમંત્રીશ્રીએ રૂકો સાથે સંકળાયેલા વિવિધ એન.જી.ઓ. ના પ્રતિનિધિઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતિક આપી સન્માન કર્યું હતુ.

         મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂકો અંગેની એપ્લીકેશન લોન્ચ કરાઈ હતી જેને ગુજરાતમાં પ્રથમ દિવસે જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એપ્લીકેશન  દ્વારા ૪૭૧૪૬ લીટર વપરાયેલ રાંધણ તેલની રિકવેસ્ટ મળી છે.

 

         આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતુ કે, લોકોને આરોગ્યની સસ્તી સારી અને ઝડપી સેવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજ્યના નાગરિકની તંદુરસ્તી અને આરોગ્ય જળવાય તે માટે અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવી છે. પરંતુ તેથી આગળ વધી રાજ્ય સરકારે રાજ્યનો નાગરિક બિમાર જ ન પડે તે દિશામાં સ્વસ્થ ભારત અભિયાન દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતુ. લોકોને સારૂ ખાવાનું મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે સ્ટ્રીટ થી હોટલ સુધીનાં ફુડ પીરસનાર એકમો પર તપાસ પણ ધરવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

         આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે જણાવ્યું કે, ઓજસ્વી, તેજસ્વી , સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત બનાવવા માટે શુધ્ધ હવા સાથે સમતોલ આહાર પણ જરૂરી છે.

ઈટ હેલ્થી, ઈટ સેફ, ઈટ ફોર્ટી ફાઈડ અને નો વેસ્ટ ઓફ ફુડ સાથે ના મંત્ર સાથે જૂદા-જૂદા ચાર રૂટમાં આ યાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. 

ભારત સરકારના એફ.એસ.એસ.એ.આઈ. ના સી.ઈ.ઓ. શ્રી પવન કુમાર અગ્રવાલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં આ યાત્રાને જે વ્યાપક આવકાર મળ્યો છે તે જોતા સ્વસ્થ ભારત બનાવવાની પરિકલ્પના ચોક્કસ સાર્થક થશે.   

         અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલે જણાવ્યું કે, સ્વસ્થ ખોરાક અંગેની જનજાગૃતિ અંગે સ્વસ્થ ભારત યાત્રામાંથી સ્વસ્થ જીવનની પ્રેરણા લેવી જોઈએ. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા કાંકરીયા ખાતેની ફુડ સ્ટ્રીટને દેશની ફસ્ટ ક્લીન ફ્રુટ સ્ટ્રીટ તરીકે નવાજીત કરવામાં આવી છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે,  સ્વસ્થ  ભારત યાત્રા  ગુજરાતના આઠ વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરશે. અમદાવાદ આવેલી આ યાત્રામાં ૧૬૬૬ મોટર સાયક્લીસ્ટ જોડાયા છે. જેમાં ૬૦૧ મહિલા મોટર સાયક્લીસ્ટનો સમાવેશ થાય છે.

         લોક ગાયિકા કિંજલબેન દવેએ આ પ્રસંગે લોક સંગીત પ્રસ્તુત કરી લોકોનું મનોરંજન કર્યું હતુ. સ્વસ્થ ભારત અંગેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ અવસરે રજુ કરવામાં આવી હતી.

         આ પ્રસંગે સંસદ સભ્યશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી, અમદાવાદના ધારાસભ્યો સર્વશ્રી, સુરેશભાઈ પટેલ, રાકેશભાઈ શાહ, અરવિંદભાઈ પટેલ, પ્રદિપભાઈ પરમાર, ભૂપેન્દ્રભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી વિજયભાઈ નહેરા, અમદાવાદ કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે, એન.સી.સી. ના ડિરેક્ટર બ્રિગેડીયરશ્રી આર.કે.મંગોતરા, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરશ્રી હેમંત કોશિયા તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:29 pm IST)