Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સાયન્સમાં રિસર્ચ કરનારને મળશે ૫૦ લાખની સહાયઃ મુખ્યમંત્રી વિજયભાઈનો વિજ્ઞાન- ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા ૫૦ કરોડનું ફંડ રચવા નિર્ણય

આર્ટિફીશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકસ, બાયોટેકનોલોજી, પોલીમર્સ અને સ્પેશીયલ મટીરીયલ્સ, નેનોટેકનોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સોલ્યુશન્સ, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, વેસ્ટ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ સોલ્યુશન્સ, પોલ્યુશન અબેટમેન્ટ, સસ્ટેનેબલ હેબીટેટ, ન્યુટ્રીશન સેન્સીટીવ રીસર્ચનો સમાવેશ

અમદાવાદ,તા.૫: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા – નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે વિજ્ઞાનના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં-ટેકનોલોજીમાં રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન માટે સહાય યોજના મંજૂર કરી છે.  મુખ્યમંત્રીએ તેમના ઇઝરાયેલ પ્રવાસની ફલશ્રુતિ રૂપે રાજયમાં સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટ ઇનોવેશનને વેગ આપવા રૂ. પ૦ કરોડનું ફંડ રચવાનો જે નિર્ણય કર્યો છે. આ હેતુસર સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન STI ફંડ રચવાનો નિર્ણય તેમણે કર્યો છે તેના ભાગ રૂપે પ્રથમ તબક્કે પ૦ લાખની સહાય અપાશે.

મુખ્યમંત્રીશ્રીએ બાયો ટેકનોલોજી પોલિસી અને સંશોધન સહાય, I.T પોલિસી અને તે અન્વયે સહાય તેમજ ઇલેકટ્રોનિક પોલિસી અને સ્ટાર્ટ અપ પોલિસીની સહાય જાહેર કર્યા બાદ હવે નોલેજ બેઇઝ ઇકોસિસ્ટમમાં સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનના સિંહ ફાળાને ધ્યાને રાખી સહાયનો આ અભિગમ અપનાવ્યો છે.

રાજયના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે આ હેતુસર જે ક્ષેત્રોને હાઇ એન્ડ ટેકનોલોજી અને ઇનોવેશન માટે પસંદ કર્યા છે તેમાં આર્ટિફીશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકસ, બાયોટેકનોલોજી, પોલીમર્સ અને સ્પેશીયલ મટીરીયલ્સ, નેનોટેકનોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સોલ્યુશન્સ, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, વેસ્ટ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ સોલ્યુશન્સ, પોલ્યુશન અબેટમેન્ટ, સસ્ટેનેબલ હેબીટેટ, ન્યુટ્રીશન સેન્સીટીવ રીસર્ચનો સમાવેશ થાય છે

સંશોધન સહાય માટેના પ્રોજેકટની મહત્તમ નાણાંકીય મર્યાદા રૂ. પ૦ લાખ તથા પ્રોજેકટની સમય અવધિ પણ વધુમાં વધુ ૩ વર્ષની રાખવામાં આવી છે. આ યોજના અન્વયે ચોક્કસ રકમનું ભંડોળ ઊભૂં કરવામાં આવશે.

યોજનાનો અમલ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવશે. રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે આ નવતર યોજનાને આખરી ઓપ આપતાં એવું ઠરાવ્યું છે કે, રાજય સરકારે પસંદ કરેલા ક્ષેત્રોમાં સંશોધન દ્વારા રાજયની મુખ્ય સમસ્યાઓ/પ્રશ્નો તજ્જ્ઞો દ્વારા અલગ તારવવામાં આવશે અને તેના ઉકેલ માટે સંશોધન સહાય આપવામાં આવશે

રાજય સરકારની કે રાજય સરકાર સહાયિત અથવા બિનવાણિજિયક ધોરણે કામ કરતી સંસ્થા, રાજય કે કેન્દ્ર સરકારની યુનિવર્સિટી, UGC કે AICTE માન્ય યુનિવર્સિટી, કોલેજ અને સંસ્થાઓના સંશોધકો પણ અરજી કરી શકશે.

આ યોજનાના અમલ માટે ટેકનીકલ સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે અને તેના તજ્જ્ઞો સંશોધન પ્રોજેકટની દરખાસ્તોની ચકાસણી કરીને જરૂરી ભલામણો કરશે. આ ભલામણો GUJCOSTની કાર્યવાહક સમિતિની મંજૂરી મેળવીને સહાય ચુકવવામાં આવશે. આ સંશોધન દ્વારા ઉપસ્થિત થતી બૌધિક સંપદા (Intellectual Property)ની વહેંચણી માટેના ધારાધોરણો પણ નિયત કરવામાં આવ્યા છે. આ યોજના દ્વારા માત્ર બેઝીક રિસર્ચના બદલે એપ્લાઇડ રિસર્ચ કરીને રાજયની મહત્વની / તારવેલી સમસ્યાઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ દ્વારા ઉકેલી શકાશે અને સમાજની સુખાકારીમાં ફાળો આપશે. વિદ્યાસંકુલોમાં થતા સંશોધનોને ઇનોવેશન અને એપ્લાઇડ સ્વરૂપ આપીને સમાજ અને ઉદ્યોગો માટે નવી પ્રોડકટ અને સર્વિસ લાઇન ઉભી કરી શકાશે.

રાજયમાં સંશોધન, વિકાસ અને ઇનોવેશન માટે થતા પ્રયાસોને પ્રોડકટ આધારિત અથવા સ્થાનિક જરૂરિયાતોને સંતોષવા માટે કાર્યરત કરી શકાશે.

રાજયના વિદ્યા અને સંશોધન સંકુલોમાં સાયન્ટીફીક ટેમ્પર, સેન્સીટીવીટી અને ઇન્કવેઝીટીવનેસ વધારી શકાશે. એટલું જ નહિ, રાજયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકોનું કેપેસિટી બિલ્ડીંગ થશે અને તેનો લાભ ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાને મળશે. સંશોધન, વિકાસ અને ઇનોવેશન ક્ષેત્રે કોલાબોરેશન અને મલ્ટીસેકટરલ કો-ઓર્ડીનેશન દ્વારા નેટવર્કીંગ કરવામાં આવશે, તેમ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગે ઠરાવ્યું છે.

(3:56 pm IST)