Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હિંમતનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢ્યું

આડા સબંધનો કરૂણ અંજામ આવ્યો : પ્રેમીએ મહિલાની મદદથી તેના પતિ પર ઊંઘમાં હથોડીના ઘા મારી પતાવી દીધો : મહિલા-પ્રેમીની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા. : ગુજરાતના હિંમતનગરમાં લગ્નેત્તર સંબંધોમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિમતનગરના ગઢોડામાં દંપતી સાથે એક ઘરમાં પાંચ મહિનાથી રહેતાં પ્રેમીએ પ્રેમમાં આડખીલીરૂપ બનતાં પતિની પત્નીની મદદથી ઊંઘમાં હથોડી માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. અને બાથરૂમમાં મુકી રાખી હતી. જો કે, પોલીસે હત્યાકાંડનો ભેદ ઉકેલી પ્રેમી અને પત્નીને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સાબરકાંઠાના હિંમતનગરથી તલોદ રોડ પર ૧૮ દિવસ પહેલાં પ્રાંતિજના અંબાવાડાની સીમમાંથી પસાર થતી ખારી નદીના પુલ નીચે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી હતી. જે બાદ અંબાવાડાના સરપંચના પતિ સોમાભાઈ નાથાભાઈએ પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં માહિતી મળી હતી કે નનાનપુર ગામની સીમમાં આવેલ માર્ક એલોય કંપનીમાંથી અમરનાથ નામનો શખ્સ ગુમ થયેલ છે. જે માર્ક એલોય કંપનીમાં મેન્ટેનન્સ વર્કર તરીકે નોકરી કરતો હતો અને ગઢોડાની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટીમાં રહેતો હતો.

પોલીસે અમરનાથના ઘરની આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં માહિતી મળી હતી કે અમરનાથ, તેની પત્ની, બે વર્ષનું બાળક અને પપ્પુ નામનો શખ્સ સાથે રહેતાં હતા. અમરનાથની પત્ની નિધિએ પાડોશીઓને કહ્યું કે અમરનાથ ઝઘડો કરીને ક્યાંક જતો રહ્યો છે. જે બાદ નિધિ સાથે બે વર્ષનો બાળક અને પપ્પુ ઠાકુર ઘરનો સામાન લઈને બિહાર જતા રહ્યા છે. ત્યારે પત્ની ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળતાં પોલીસનો શક મજબૂત બન્યો હતો. અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને મૃતકના ભાઈનો સંપર્ક કરી ફોટા વગેરે મોકલી ઓળખ સ્થાપિત કરી હતી.

પ્રાંતિજની નનાનપુરની ફેક્ટરીમાં નોકરી કરતાં મૂળ બિહાર રાજ્યના અને ગઢોડાની સાગર વિલેજ સોસાયટીમાં પાંચ વર્ષથી રહેતા યુવક અમરનાથની લાશ ૧૮ દિવસ અગાઉ અંબાવાડાની ખારી નદીમાંથી મળી હતી. તો લાશ મળી આવવાના પ્રકરણમાં પ્રેમાંધ પપ્પુએ પતિ અમરનાથની પત્ની નિધિ સાથે મળી પતિ અમરનાથની હત્યા કરી લાશને નવેક કલાક ઘરના બાથરૂમમાં મૂકી રાખી હતી. એટલું નહીં લાશની દુર્ગંધ અટકાવવા માટે સ્પ્રે લાવવામાં આવ્યો હતો, જે બાથરૂમમાં છાંટવામાં આવ્યો હતો. ત્યારબાદ લાશને ચાદરમાં વીંટી મૃતક અમરનાથને એક્સેસ પર આગળ ઊંધો બાંધી રાત્રીના કિમી હત્યા કરેલી લાશ લઈ પપ્પુ લઇ ગયો હતો. જ્યાં રાત્રીના અંધારામાં ખારી નદીમાં પુલ પરથી ફેંકી કરાયેલી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પ્રેમી લાશ ફેંકી આવ્યા બાદ હથોડી સહીતનાં કપડા તમામ એક થેલીમાં ઘરથી થોડે દુર રોડ સાઈડે ફેંકી આવ્યો હતો. ત્યારબાદ પપ્પુ પ્રેમિકા નિધિ બે વર્ષના બાળકને લઇ બિહાર પલાયન થઇ ગયા હતા.પ્રાંતિજ પોલીસે બંને આરોપીને બિહારથી લઈ આવ્યા બાદ મૃતકના ભાઇની ફરિયાદને પગલે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પ્રાંતિજ પોલીસે પતિની હત્યા કરનારા પ્રેમી અને પત્નીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે. તો પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી સાથે ગર્ભવતી નિધિનો આગામી દિવસમાં ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.

(9:13 pm IST)