Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ભાજપ માટે રાષ્ટ્રહિત સર્વોચ્ચ છે : ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દાવો કર્યો

ગુજકોક ખરડાને મંજુરી બદલ આભાર માન્યો : આરસીઈપીમાં નહીં જોડાવવા ખુબ સાહસી નિર્ણય લઇને વડાપ્રધાન દેશહિત સર્વોપરી હોવાનું સાબિત કર્યું : ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી

અમદાવાદ, તા. ૫ : ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ (ગુજકોક) ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઇચ્છાશક્તિને વંદન કર્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોક કાયદાને મંજુરી મળતા ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુરક્ષા-સલામતી વધુ સુનિશ્ચિત થશે અને સુરક્ષિત ગુજરાત વધુ સુરક્ષિત બનશે. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજકોકના અમલમાં આવ્યા બાદ આકરી સજા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી)માં ન જોડાવવાનો સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઇને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે દેશહિત જ સર્વોપરી છે.

            આરસીઇપીમાં ન જોડાવવાના નિર્ણયથી દેશના ખેડૂતો, પશુપાલકો, લઘુ અને મધ્ય ઉદ્યોગ, દૂધ-ડેરી ઉદ્યોગ તથા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, બિનજરૂરી આયાત અટકશે તથા ડેટા સુરક્ષા વધશે. ભાજપ માટે સત્તા એ ભોગ વિલાસનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરી માની ભારતને વધુ સમર્થ અને શક્તિશાળી બનાવવાના મહાયજ્ઞમાં સહભાગી થવાનું માધ્યમ છે. વાઘાણીએ મહા વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપના સૌ કાર્યકર્તાઓને વહીવટીતંત્ર સાથે સંકલન સાધી પ્રભાવિત વિસ્તારની જનતાને સંભવ દરેક સહાય પુરી પાડવા તથા આપત્તિની આ ઘડીમાં સાથી નાગરિકો સાથે અડિખમઉભા રહેવા માટે અપીલ કરી હતી.

(9:22 pm IST)