Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાજકોટમાં લુખ્ખાઓની આગવી ઢબે સરભરા થાય તો જ પોલીસ 'જાંબાઝ' ગણાય છેઃ અનુપમસિંહ ગેહલોત

રાજકોટમાં તત્કાલીન પીએસઆઇ કિરીટ લાઠીયાની 'લાઠી'નો ગુન્હેગારોમાં ભારે ખોફ હતોઃ વડોદરા સીપી : પીઆઇ તરીકે બઢતી પામેલા કે.એન. લાઠીયા અને કુલદીપસિંહ ગોહિલનુ વડોદરાના ઉચ્ચ અધિકારીઓથી લઇ સ્ટાફે ભવ્યાતીભવ્ય બહુમાન કર્યુ

રાજકોટ, તા., ૧પઃ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટની પ્રજા વીરપુજક છે, રાજકોટ શહેરમાં લુખ્ખાઓની આગવી ઢબે સરભરા કરવામાં ન આવે કે પોલીસ કમિશ્નર કચેરીના  કડવા લીમડાનો સ્વાદ ચખાડવામાં ન આવે તો પોલીસને પત્રકારો કે પ્રજા બહાદુર માનતી નથી. રાજકોટની આવી પરંપરા ધ્યાનમાં રાખી સામાન્ય વાતમાં લુખ્ખાગીરી કરતા લોકોને શોધી-શોધી તેમની આગવી ઢબે મારા કાર્યકાળમાં સરભરા કરી તેમાં તે વખતના ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ કિરીટ લાઠીયાએ ખુબ જ બહાદુરીથી ફરજ બજાવી લુખ્ખાઓમાં પોતાનો ખોફ ઉભો કર્યો હતો તેમ રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર અને હાલ વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતે વડોદરાના પીએસઆઇ અને સૌરાષ્ટ્ર સાથે  ઘરોબો ધરાવતા પીએસઆઇ કિરીટ લાઠીયાને પોલીસ ઇન્સ્પેકટર તરીકે મળેલી બઢતીના સમારોહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે શ્રી લાઠીયાની લાઠીનો લુખ્ખાઓમાં ખુબ જ ભય રહેતો અને પરિણામે રાજકોટની પ્રજાને  અમારી મજબુત ટીમને કારણે ખુબ જ શાંતિ રહી હતી. અનુપમસિંહ ગેહલોતે રાજકોટની ખાસીયત વર્ણવતા જણાવેલ કે રાજકોટમાં લુખ્ખાઓની આગવી ઢબે સરભરા ન થાય તો પોલીસને નકામી ગણવામાં આવે છે. લુખ્ખાઓની સરભરા કરી પોલીસ કમિશ્નર કચેરીના લીમડાનો સ્વાદ ચખાડવામાં આવે તો જ પ્રજા જાંબાઝનું બિરૂદ આપે છે.

પીએસઆઇ કિરીટ લાઠીયા અને પીએસઆઇ કુલદીપ ગોહીલ કે જેમને બઢતી આપી રાજકોટ પંથકમાં મુકવામાં આવ્યા છે તે બંન્નેને દિપોત્સવી પર્વ નિમિતે પણ પોલીસ કમિશ્નર પરીવાર દ્વારા પણ શુભેચ્છા પાઠવવા સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટી સહીતના અધિકારીઓ શુભેચ્છા પાઠવી હતી. સમારોહ પ્રસંગે ડીસીપી દિપકકુમાર મેઘાણી સહીતના અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અનુપમસિંહ ગેહલોતે ગુજરાતના વિવિધ શહેરો અને પ્રાંતોની પોતાના બહોળા અનુભવ આધારે સમીક્ષા કરતા જણાવેલ કે વડોદરામાં આગવી ઢબની સરભરા કરતા કલમનું વધુ મહત્વ છે. સાઉથ ગુજરાતમાં અલગ રીતે  પોલીસીંગ કરવુ પડે જયારે મધ્ય ગુજરાતમાં  કોમ્યુનલ જેવી પરિસ્થિતિ ધ્યાને લઇ સતત સંપર્ક રાખી બાતમીઓ મેળવી અને તોફાની તત્વોને જેર કરવા પડે, કિરીટ લાઠીયાના ભાગે હવે આઇબી જેવી બ્રાન્ચમાં માહિતી એકઠી કરી સેન્ટ્રલ આઇબી સાથે સ઼કલન સાધવા સાથે સ્થાનિક પોલીસના સંપર્કમાં રહી બાતમીઓની આપ-લે કરી મજબુત વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી રહેશે મને આશા છે કે આ જવાબદારી પણ તેઓ સફળતાપુર્વક નિભાવશે.

(1:07 pm IST)