Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

તાનારીરીનો મહોત્સવ છઠ્ઠી નવેમ્બરથી વડનગરમાં શરૂ

મુખ્યમંત્રીના હસ્તે તાના-રીરી સંગીત એવોર્ડ અપાશેઃ તાના-રીરી ગાર્ડનમાં ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાય તેવા એંધાણ

અમદાવાદ,તા.૪: કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે  તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૬ઠ્ઠી નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો શુભારંભ કરવામાં આવશે. જ્યારે તા. ૭ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. આ મહોત્સવમાં ૦૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને આપવામાં આવનાર છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે. આ ઉપરાંત સુશ્રી અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ.ધ્વીન વચ્છરાજાની, સુશ્રી ગાર્ગી વોરા અને સુશ્રી ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે. ૦૬ નવેમ્બરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે અને રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત પ્રથમ દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જે અંગેના કાર્યક્રમો ૦૬ નવેમ્બરે સાંજે ૦૪ કલાકથી યોજાવાનો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગરની સંગીત બેલડી નાગર બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ હતી. આ એવોર્ડમાં ૦૫ લાખની રાશી (સંયુક્ત રીતે ૦૨.૫૦ રૂપિયા), તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે. પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને, બીજા વર્ષે ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, ૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર, ૨૦૧૩-૨૦૧૪માં સુશ્રી બેગમ પરવીન સુલતાના, ૨૦૧૪-૨૦૧૫માં સુશ્રી સ્વર યોગીની ડૉ.પ્રભા અત્રે, ૨૦૧૫-૨૦૧૬માં વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડૉ. લલીત જે રાવ મહેતા બેંગ્લોરને અર્પણ કરાયો હતો. ૨૦૧૬-૨૦૧૭નો એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલને અર્પણકરાયો હતો. ૨૦૧૭-૨૦૧૮નો સંયુક્ત રીતે પદ્મભૂષણડૉ. એન.રાજમ અને સુશ્રી વિદુષી રૂપાંદે શાહને અર્પીત કરાયો હતો.

(9:57 pm IST)