Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં 16,670 લોકોને સાપ કરડયાઃ ગાંધીનગરના બેંક મેનેજર પ્રદિપભાઇ સોલંકીએ બેંકમાંથી રાજીનામુ આપીને સાપને પકડવાના કામમાં લાગી ગયાઃ અત્‍યાર સુધીમાં 1600થી વધુ સાપ પકડયા

મારે માનવ વિસ્‍તારમાં આવી ચડતા સાપને પકડીને બચાવવા છેઃ પક્ષીઓને બચાવવા છેઃ મને નોકરીમાંથી ફરજ મુક્‍ત કરો તેમ કહીને રાજીનામુ આપ્‍યુ હતુ

ગાંધીનગરઃ ચોમાસાનીઋતુનો પ્રારંભ થતા મહાનગરોમાં સરિસૃપો બહાર આવવાની ઘટના વધવા લાગે છે. ઘણી વખત રહેણાક વિસ્તારમાં પ્રવેશી ગયેલા સાપ કરડવાના બનાવ પણ નોંધાતા હોય છે. ત્યારે 108માં આવેલા કોલ મુજબ અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં સાપ કરડવાના કુલ 327 કેસ નોંધાયા છે. જેમાં 21 જૂન 2021 સુધીમાં જ 22 જેટલા કેસ નોંધાયા છે. સત્તાવાર માહિતી મુજબ છેલ્લાં 4 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર 670 લોકોને સાપ કરડવાનો બનાવ બન્યો છે. ત્યારે ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અને અત્યાર સુધી 1600થી વધુ સાપ પકડ્યાં છે!

આમ તો રાજ્યભરમાં સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે. ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે.

ગાંધીનગરમાં રહેતાં અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા 56 વર્ષના પ્રદીપભાઈ સોલંકીએ થોડા સમય પહેલાં જ બેંક મેનેજમેન્ટને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. સેવા નિવૃત્ત થવાના 44 મહિના પહેલાં રાજીનામું આપવા માટે દર્શાવેલું કારણ આશ્ચર્યજનક હતું. રાજીનામાં પ્રદીપભાઈ લખ્યું હતુંકે, મારે માનવ વિસ્તારમાં આવી ચડતા સાપને પકડવા છે, સાપને બચાવવા છે, પક્ષીઓને બચાવવા છે. મારે આ અબોલા જીવની નિસ્વાર્થ સેવા કરવી છે જેથી મને નોકરીમાંથી ફરજ મુક્ત કરવા વિનંતી. જોકે, બેંક મેનેજમેન્ટે આ કર્મઠ અધિકારીનું રાજીનામું નામંજૂર કર્યું એટલે હવે ઓફીસના કામકાજનો સમય છોડીને પ્રદીપભાઈ એમની જીવદયાની પ્રવૃત્તિ કરે છે. ગાંધીનગરમાં સચિવાલય, મંત્રી નિવાસ, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીક્ળ્યો હોવાની ફરિયાદ મળે તો પ્રદીપભાઈ તુરંત ત્યાં પહોંચી જાય.

અત્યાર સુધી 1600 થી વધારે સાપને પકડીને તેમને સુરક્ષિત સ્થળે છોડ્યા:

ગાંધીનગરની ગ્રામીણ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રદીપ સોલંકી અને તેમની દીકરી ધ્રુવા ગાંધીનગર વિસ્તારમાં નીકળી આવતા સાપોને પકડીને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનું નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે. તેઓ અત્યાર સુધી 1600થી વધારે ઝેરી અને બિનઝેરી સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં છોડી આવ્યાં છે.

ગમે ત્યારે કોલ આવે પ્રદીપભાઈ સાપ પકડવા હોય છે હંમેશા તૈયાર:

પ્રદીપભાઈ ભલે બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હોય પણ તેમને કોઈપણ જગ્યાથી કોલ આવે કે ખબર પડે કે અહીં સાપ નીકળ્યો છે તો તેઓ એ જગ્યા પહોંચીને સાપને પકડીને સુરક્ષિત સાથે છોડી આવવાનું કામ કરે છે. ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારમાં સાપ દેખાયો હોવાનો ફોન આવે કે કોઈના ઘરે સાપ નીકળ્યો હોય તો પ્રદીપભાઈ ત્યાં સ્થળ પર પહોંચી ગભરાયેલાં લોકોને સમજાવે છે. અને ત્યાર બાદ સાપને પકડીને તેને સુરક્ષિત સ્થાને જંગલમાં છોડી આવે છે.

ગત વર્ષે પ્રદીપભાઈ ગાંધીનગરમાંથી પકડ્યા હતા 144 સાપ:

ગત વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં પ્રદીપભાઈએ ગાંધીનગર આસપાસના અલગ અલગ સ્થાનોથી અંદાજે 144 જેટલા સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થાને માનવ વિસ્તારથી દૂર જંગલમાં છોડ્યાં હતાં. પ્રદીપભાઈની વાત માનીએ તો આ સાપ પૈકી 75 જેટલાં સાપ તો અત્યંત ઝેરી હતાં. આ ઝેરી સાપમાં કોબરા, નાગ, ખડચિતરો અને કાળોતરા સાપનો સમાવેશ થાય છે.

પ્રદીપભાઈના પત્ની મનીષાબેેને કરી 1700 પક્ષીઓની સારવાર:

પ્રદીપભાઈના પત્ની મનીષા જોશી પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમને બચાવવાની અનોખી પ્રવૃત્તિ કરે છે. મનીષા બેને પણ અત્યાર સુધીમાં 1700 છેટલાં ઘાયલ પક્ષીઓની સારવાર કરીને તેમનો જીવ બચાવ્યો છે. જ્યારે પ્રદીપભાઈના પત્ની ક્યાંય પણ કોઈ પક્ષને ઘાયલ થયેલું જોવે તો તેને પોતાના ઘરે લઈને આવે છે અને તેને ખોરાક-પાણી આપીને તેની સારવાર કરે છે. અને જ્યાં સુધી આ પક્ષી ઠીક ન થઈ જાય ત્યાં સુધી પોતાના ઘરમાં રાખીને તેની સારસંભાળ લે છે. આવું જીવદયાનું કામ કરતા આ પરિવારની કામગીરીને ખરેખર સલામ કરવાનું મન થાય છે.

Sneck Catchers પિતા-પુત્રી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝથી સન્માનિત થયા:

ગાંધીનગરમાં સાપમાં સચિવાલય, મંત્રી નિવાસ, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીક્ળ્યો હોવાની ફરિયાદ મળે તો પ્રદીપભાઈ તુરંત ત્યાં પહોંચી જાય. ત્યારે પ્રદીપભાઈ તુરંત ડોંક, ચીપિયો, હેડલાઈટ, સ્ટીક, પાઈપ, લાકડી, ટોર્ચ, નેટ, બેગ સહિતનો પોતાનો સામાન લઈને ત્યાં સાપ પકડવા પહોંચી જાય છે. પ્રદીપભાઈની આ પ્રકારની જીવદયાની કામગીરીને સરકારે અને સ્થાનિક તંત્રએ પણ નોંધ લીધી છે. તેમની પ્રશંસા પણ કરી છે. આ સ્નેક કેચર પિતા-પુત્રી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝથી સન્માનિત કરાયા છે.

પ્રદીપભાઈની પુત્રી પણ પિતાની સાથે જાય છે સાપ પકડવા:

પિતા પાસેથી પ્રેરણા લઈને પ્રદીપભાઈની દીકરી ધ્રુવા પણ હવે આ રીતે સાપ પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું જીવદયાનું કાર્ય કરે છે. પ્રદીપભાઈ અને તેમના પરિવારે અનેક વૃક્ષોનું પણ જતન કર્યું છે. તેઓ અવારનવાર વૃક્ષારોપણની કામગીરીમાં પણ સહભાગી થતાં જોવા મળે છે. આમ, તેમને કુદરત, કુદરતની પ્રકૃતિ તેમજ જીવસૃષ્ટિ પ્રત્યે ખુબ જ લગાવ છે.

આ પરિવાર કરે છે અબોલા જીવની સેવા:

પ્રદીપભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી અબોલા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની સાર સંભાળ રાખવાનું અને તેમને બચાવવાનું કાર્ય કરે છે.

સાપ પકડવા બેંક મેનેજર પદેથી ધર્યું રાજીનામું:

પ્રદીપભાઈને નાનપણથી જ પશુ-પક્ષી બહુ ગમે છે. વર્ષો સુધી પ્રદીપભાઈ આ શોખને જાળવી રાખ્યો છે. તેમના પત્ની પણ છેલ્લાં 20 વર્ષથી પક્ષીઓની સારવાર અને સેવાની પ્રવૃત્તિ કરે છે. પ્રદીપભાઈના પત્ની મનીષાબેન જોશી પણ બેંકમાં કલર્ક છે. તેઓ પક્ષીઓની સેવા કરે છે. પ્રદીપભાઈ સોલંકી ગાંધીનગરમાં આવેલાં કુડાસણ પાટીયા પાસેના યોગેશ્વર કોમ્પલેક્ષમાં રહે છે. અને તેમનો મોબાઈલ નંબર: 9824256410 છે. કોઈ વ્યક્તિની મદદમાં આવી શકે તે આશયથી આ નંબર આપવામાં આવ્યો છે. અત્યાર સુધી 1600થી વધારે ઝેરી અને બિનઝેરી સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં છોડી આવ્યાં છે. સાપ પકડવા માટે પ્રદીપભાઈએ બેંક મેનેજર પદેથી પણ રાજીનામું ધરી દીધું હતું.

(4:23 pm IST)