Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વન ટાઈમ ફિકસ જંત્રી ભરો અને ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન તમારી માલિકીનું

હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકોને માટે હવે મકાન વેચવાનું અને તેનો માલિકી હક્ક મેળવવાનું સહેલું બન્યું : સામાન્ય રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મિલકત ધરાવતા લોકોની આ મિલકત ૯૯ વર્ષ માટે લીઝ પર હોય છેઃ આ લીઝની મિલકતોને કબજો ધરાવનાર વ્યકિત વેચી શકતો નથી કે તેમાં કોઈ ફેરફાર કરી શકતો નથીઃ હવે, પૂર્ણ જંત્રી ભરીને આ મિલકતોનો માલિકી હક્ક તેઓ મેળવી શકશેઃ જેથી માર્કેટમાં વેચી પણ શકશે

અમદાવાદ, તા.૫:એક નોંધપાત્ર ડેવલોપમેન્ટ તરીકે રાજય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના મકાનોને લીઝ હોલ્ડમાંથી નિશ્યિત જંત્રીની રકમ ચૂકવવા પર ફ્રી હોલ્ડમાં ફેરવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે ૩૦ જુલાઈ, ૨૦૨૧ ના રોજ GHB કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજય સરકારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીને એક વખતની ફિકસ જંત્રીની ચુકવણી કરવાથી ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણયથી રાજય સરકારને આવક તો થશે જ ઉપરાંત, આ પગલું હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ માટે આવી મિલકતો પોતાના નામે ધરાવવાનો માર્ગ પણ મોકળો કરશે, જેને તેઓ હાલમાં લીઝ પર ધરાવે છે. આ મિલકતોના વેચાણથી રહેવાસીઓને વધારે આવક મળશે એટલું જ નહીં, તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડૂતો કાયદેસર રીતે તેમની મિલકતો વેચી શકતા નથી આ મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ અધિકારીઓને GHB ભાડૂતોના પડતર પ્રશ્નો ઉકેલવા કહ્યું ત્યારે આ મુદ્દો પણ ચર્ચા માટે આવ્યો હતો.

ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો ઇમારત, રો હાઉસ અથવા ટેનામેન્ટ્સ સહિતના રહેણાંક એકમોનો કબજો ધરાવતા લોકો એક નિશ્ચિત સમયગાળા માટે જે સામાન્ય રીતે ૯૯ વર્ષ હોય છે આ મિલકતોને લીઝ પર ધરાવે છે. તેથી તેઓ મિલકતો વેચવાની સ્થિતિમાં નથી હોતા કારણ કે આ મિલકતો ફ્રી હોલ્ડ નથી ગણાતી.

ઘણા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પોશ વિસ્તારોમાં હોવાથી, ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનોના રહેવાસીઓ તેમની મિલકતોને લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડમાં રૂપાંતરિત કરવાનું પસંદ કરશે, એમ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકો કહે છે. એકવાર તેઓ માલિકી મેળવી લે પછી, તેઓ કોઈપણ વ્યકિતને પૂર્વ પરવાનગીની જરૂરીયાત વગર મકાન વેચી શકશે. જો હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યો સંમત થાય, તો તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પડતર મુદ્દાઓની છેલ્લી સમીક્ષા બેઠક દરમિયાન અમિત શાહે અધિકારીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કામ કરવા જણાવ્યું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારો જયાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.

(11:04 am IST)