Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

હાર્દિક પટેલે રામ મંદિર માટે ૨૧ હજાર રૂપિયાનું દાન આપ્યું

આ મંદિર દેશમાં 'રામરાજય'ની શરૂઆત કરશે

અમદાવાદ,તા.૫ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે દાન આપવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે મંગળવારે કહ્યું કે, તેઓ અને તેમનો પરિવાર મંદિર માટે ૨૧ હજાર રૂપિયા દાનમાં આપશે. સાથે જ તેમણે કહ્યું કે, તેમને ધર્મમાં 'અપાર શ્રદ્ઘા' છે, પરંતુ તેઓ 'કટ્ટરપંથી' નથી અને આશા રાખે છે કે મંદિર દેશમાં 'રામ રાજય'ની શરૂઆત કરશે.ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું આ નિવેદન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ આપ્યું છે. તેમણે કહ્યું કે, 'આશા રાખું છું કે, મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજય લાવશે.' ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હવે રામ મંદિર નિર્માણમાં પાર્ટીના યોગદાનને રેખાંકિત કરવામાં લાગી ગઈ છે. જેના માટે ભૂમિ પૂજન સમારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બુધવારે અયોધ્યામાં થવાનો છે. કોંગ્રેસના નેતા નિવેદનો આપી રહ્યા છે કે, જેથી તેઓ આ ઐતિહાસિક સમારંભથી અલગ હોવાનું ન દેખાય.બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંગળવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ રાષ્ટ્રીય એકતા, ભાઈચારા અને સાંસ્કૃતિક સદભાવનું પ્રતીક હશે. તો, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાપાલમાં પોતાના નિવાસ સ્થાન પર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને કહ્યું કે, અમે મધ્ય પ્રદેશના લોકો તરફથી અયોધ્યામાં ચાંદીની ૧૧ ઈંટો મોકલી રહ્યા છીએ. આવતીકાલ (બુધવાર) એ ઐતિહાસિક દિવસ છે, જેના માટે આખો દેશ રાહ જોઈ રહ્યો હતો.

(11:24 am IST)