Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ગુરૂપૂર્ણિમાના પર્વે અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લુ મુકાયું

મંગળા આરતીમાં કોઈને પ્રવેશ ન અપાયો

અંબાજી, તા. ૫ : આજે ગુરૂપૂર્ણિમા છે અને હાલ કોરોનાની મહામારીને લઈ મંદિરોમાં વધુ ભીડ ન થાય અને કોરોનાનો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યોમાં કેટલાક મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે યાત્રાધામ અંબાજીમાં માતાજીનું મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

જો કે, આજે મંગળાઆરતીમાં કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને આરતી બાદ માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોને પ્રવેશ અપાયો હતો. તેમજ મંદિરમાં સતત સેનિટાઈઝેશન પણ હાથ ધરાયું હતું.

રવિવારે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભીડ હોવા છતાં શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિરમાં હાલ પ્રસાદ કેન્દ્ર પણ બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે ભેટ દક્ષિણા માટે અલગ કાઉન્ટર પણ શરૂ કરાયા છે. અંબાજી મંદિરમાં યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટદારે પૂરતા પગલાં લીધા હતા. અંબાજી મંદિરમાં આજે પૂનમ હોવાથી મંદિરના શિખરે ધજા પણ બદલવામાં આવી હતી. અંબાજી મંદિરમાં ભક્તો પણ માસ્ક પહેરી માતાજીના દર્શને પહોંચ્યા હતા.

એટલું જ નહીં, આમ તો મંદિરમાં ભીડભાડને કારણે થતી ધક્કામુકીમાં ચૈન સ્કેનિંગ અને પિક પોકેટિંગના બનાવ બનતા હોય છે પણ હાલ આ સોશિયલ ડિસ્ટન્સના કારણે ભીડભાડ ન થતા હજી સુધી એક પણ પિક પોકેટિંગનો બનાવ ન બનતા યાત્રિકો પણ ખુશી અનુભવી રહ્યા છે. જોકે આજે કોરોના વચ્ચે અંબાજી મંદિર ખુલ્લું રહેતા સવારે ૨ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

(7:46 pm IST)