Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આગામી પાંચ વર્ષમાં દેશની ૨૦ વર્ષ જેટલી પ્રગતિ થાય : પૂ.મહંતસ્વામી

પૂ.પ્રમુખસ્વામીના મારા ઉપર સવિશેષ આર્શિવાદ હતા : અમિતભાઈ શાહે અમદાવાદ બીએપીએસ મંદિરની મુલાકાત લીધીઃ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સુરક્ષા અને સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા

રાજકોટ : અષાઢી બીજ, રથયાત્રાનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. તેઓ અડધો કલાક રોકાયા હતા. આ પ્રસંગે પરમ પૂજય મહંતસ્વામી મહારાજે પણ ગુરુપુષ્ય નક્ષત્રના શુભ યોગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા. જે અંતર્ગત પૂ. મહંતસ્વામી મહારાજે અષાઢી બીજના ઉપલક્ષ્યમાં અમિતભાઈ શાહને માણકી દ્યોડી જયાં બિરાજમાન છે, તેવા સારંગપુર તીર્થ ખાતેની પ્રતિમા ભેટ આપીને રાષ્ટ્ર પણ અશ્વગતિએ અવિરતપણે પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે મુખ્યદ્વાર પાસે તેઓનું વિધિવત્ સ્વાગત થયું હતું. ત્યારબાદ શાંતિપાઠ થયા હતા. જેમાં રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને પ્રગતિ માટે પ્રાર્થના થઈ હતી. પૂ. મહંતસ્વામી મહારાજે અમિતભાઈને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા હતા. જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઠાકોરજી અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રમુખસ્વામી મહારાજને જણાવ્યું હતું કે પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સૌ પર આશીર્વાદ હતા, પરંતુ મારા પર સવિશેષ બની રહ્યાં. પૂ. મહંતસ્વામીએ અમિતભાઈ શાહને પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની પ્રસાદીની માળા અને વિશિષ્ટ સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

જયારે પૂ. મહંતસ્વામી મહારાજે ભારત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સુરક્ષા અને સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા હતા અને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની ૨૦ વર્ષની પ્રગતિ થાય. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

(11:41 am IST)