Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પૂ, મહંત સ્વામીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા :આશીર્વાદ વરસાવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડાના આશીર્વાદ લીધા

અમદાવાદ: અષાઢી બીજે રથયાત્રાનાં પવિત્ર દિવસે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ) ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા.

   મહંતસ્વામી મહારાજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહની સુરક્ષા અને સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા હતા અને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  આ પ્રસંગે મહંતસ્વામી મહારાજેણ ગુરુપુષ્ય નક્ષત્રના શુભ યોગમાં વડાપ્રધાન  મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા. જે અંતર્ગત મહંતસ્વામી મહારાજે અષાઢી બીજના ઉપલક્ષ્યમાં અમિત શાહને માણકી ઘોડી જ્યાં બિરાજમાન છે, તેવા સારંગપુર તીર્થ ખાતેની પ્રતિમા ભેટ આપીને રાષ્ટ્ર પણ અશ્વગતિએ અવિરતપણે પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ અંગે વિગતો આપતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અષાઢી બીજ, ગુરુવારે સવારે 10.15 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ) ખાતે પધાર્યા હતા. મુખ્યદ્વાર પાસે તેઓનું વિધિવત્ સ્વાગત થયું હતું. ત્યારબાદ શાંતિપાઠ થયા હતા. જેમાં રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને પ્રગતિ માટે પ્રાર્થના થઈ હતી. મહંતસ્વામી મહારાજે અમિતભાઈને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા હતા.
સવારે મહંતસ્વામી મહારાજે રથયાત્રાનો ઉત્સવ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થીતીમાં ઉજવ્યો હતો

(8:53 pm IST)