Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અંતે આદિવાસીના વિરોધ સામે સરકારની પીછેહઠ : ફેન્સીંગ કામગીરી સ્થગિત કરાઈ

આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કોંગીના 8 ધારાસભ્યોનો વિરોધ અને ભાજપ સાંસદે પણ પત્ર લખ્યા બાદ નિર્ણંય

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ અને રોજે રોજ આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો તેમજ કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યોએ આ કામગીરીનો વિરોધ નોંધાવી રસ્તા પર ઉતરી પડ્યા હતા. અને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ વિવાદને પગલે હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખવા સીએમ મોદીને પત્ર લખ્યો હતો. આદિવાસી નેતા અને ધારાસભ્ય છોટુ વસાવા તથા એમના પુત્ર મહેશ વસાવાએ પણ વિરોધ નોંધાવી પીએમ મોદીને ફરિયાદ કરી હતી. ત્યારે આદિવાસીઓના વિરોધ સામે આખરે સરકારે જુકવું પડ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી બંધ કરવા આદેશ આપતા કાર્યવાહી હાલ પૂરતી બંધ કરાઈ હતી.

આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે. જ્યાં સુધી ઉચ્ચ કક્ષાએથી આદેશ નહિ મળે ત્યાં સુધી કામગીરી ચાલુ નહિ થાય. નર્મદા કલેકટર અને અન્ય અધિકારીઓએ આ નિર્ણય લીધો હશે એટલે કામગીરી ગઈ કાલથી બંધ કરાઈ છે એમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કલેકટર દ્વારા જો નિર્ણય લેવાયો હોય તો ચોક્કસ એમને સરકાર તરફથી જ તાર-ફેનસિંગ કામગીરી બંધ કરવા કહેવાયું હોવું જોઈએ, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એકલા હાથે આ નિર્ણય કરે એ વાત બિલકુલ શક્ય જ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ચાલતા વિવાદ અને વિરોધ બાદ આખરે સરકાર જાગી ખરી. બીજું એ કે સરકારે જાહેર કરેલા પેકેજમાં વાંધા સૂચનો માટે વહીવટદારને લેખિત રજુવાત કારી શકાશે. હાલ 6 ગામ ફેનસિંગનો મુદ્દો રાજકીય બનવાને લીધે પણ આ કામગીરી સ્થગિત કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે માટે નેતાઓને ચૂપ કરવાનો સરકારનો કારસો પણ હોઈ શકે.

(1:05 pm IST)