Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પિતા-પુત્રીની હત્યાનો ભેદ ખુલ્યો : તબીબ બહેને જ સગા ભાઇ અને 14 મહિનાની ભત્રીજીની ઝેર આપી મારી નાખતા ચકચાર

સગી દીકરીએ કુટુંબીઓ પાસે કબુલાત કર્યાની ચોંકાવનારી રજૂઆત પિતાએ પાટણ પોલીસનેકરતા તપાસનો ધમધમાટ

પાટણમાં સગી બહેને જ મહિના અગાઉ તેના ભાઈને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ 30 મેના રોજ તેની 14 માસની માસૂમ દીકરીને પણ ઠંડા કલેજે ઝેર આપી મારી નાખી હોવાની સગી દીકરીએ કુટુંબીઓ પાસે કબુલાત કર્યાની ચોંકાવનારી રજૂઆત પિતાએ શહેર પોલીસને કરી હતી. જેને પગલે પોલીસે પુરાવા એકઠા કરવા સ્મશાનમાં દાટેલી 14 માસની માસૂમના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી અકસ્માત મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ સિદ્ધપુર તાલુકાના કલાણા ગામના મૂળ વતની અને અમદાવાદમાં સ્ટીલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલના દીકરા જીગરને છ માસ અગાઉ આંખે નજીકનું દેખાતું ન હોવાથી અને ગળું સુકાતું હોઇ શરીર ધ્રુજતું હોવાથી અમદાવાદ ખાતે સીમ્સ, સ્ટર્લિંગ, જાયડસ સહિતની હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. ગત 4 મેના રોજ તેમનો પરિવાર પાટણમાં શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈના ઘરે રોકાયો હતો અને 5 મેના રોજ કલ્યાણા ગામે કુળદેવીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જીગરની તબિયત લથડતાં પાટણની સદભાવ હોસ્પિટલમાં લાવતાં તે મૃત જણાયો હતો. આ પછી તેમનો પરિવાર વિધિ માટે પાટણ રોકાયેલો હતો, ત્યારે 30 મેના રોજ મૃતક જીગરની પત્ની ભૂમિબેનને તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યારે તેની દીકરી 14 માસની માહી ઘોડિયામાં સૂતેલી હતી ત્યારે ખેંચ આવતાં ખાનગી દવાખાને લઈ જતાં મૃત્યુ થયું હતું. જેની માતરવાડી સ્મશાનભૂમિમાં દફનવિધિ કરાઇ હતી.

   આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં હતો, પરંતુ નરેન્દ્રભાઈની નાની દીકરી કિન્નરી તેણે બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે તેને ભાઇ અને ભત્રીજીના મોત અંગે કોઈ અફસોસ કે દુઃખ ન હોઇ તેના વર્તન પર શંકા જતાં કુટુંબીજનોએ બહેન, બનેવી, ભત્રીજા સૌ કોઈએ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણીએ જીગર અને માહીને કોઇ ઝેરી પદાર્થ પીવડાવ્યો હોવાની હા ભણી હતી. જોકે, આ કરવા પાછળનું કારણ તેણે જણાવ્યું નથી તેવી લેખિત રજૂઆત બી ડિવિઝન પોલીસ મથકે નરેન્દ્રભાઈએ કરતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી ઊંડાણ પૂર્વકની તપાસ માટે મૃતક બાળકીની લાશને ફોરેન્સિક PM માટે અમદાવાદ લઈ જવાઈ હતી.

  મૃતક જીગરના પિતા નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આરોપી કોઇપણ હોય તેને તેના ગુનાની સજા તેના ગુના પ્રમાણે જ થવી જોઈએ ને સમાજમાં દાખલો બેસે બસ એ જ આશયથી મેં મારી દીકરી હોવા છતાં તેણે જે ગુનો કર્યો છે એ બાબતે મેં ફરિયાદ આપી છે અને તેને સજા થાય એ જ મારી ઇચ્છા છે.જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી. જે અપરિણીત છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તેમજ તેનો જીવ કેવી રીતે ચાલ્યો તેવો સવાલ ચર્ચાઇ રહ્યો છે.

 બાળકીની સારવાર કરનાર ડો. બકુલ પટેલે જણાવ્યું કે, બાળકીને લવાઇ ત્યારે તેની પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ તેને કેમ ખેંચ આવી છે તેનું કારણ મળ્યું નથી. ખેંચની ગંભીર બીમારીમાં મૃત્યુ થઈ શકે છે, પરંતુ આ કેસમાં ખેંચ આવવાનું કારણ જણાયું નથી. રિપોર્ટ કરવા માટે અવકાશ પણ ન મળ્યો કે કંઈ કામ કરી શકીએ.

આ અંગે એસપી શોભા ભૂતડાએ જણાવ્યું કે, આ ઘટનામાં અકસ્માત મોત નોંધ કરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

(12:07 pm IST)