Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગામડામાં કોરોનાનું તાંડવઃ મૃત્યુઆંકમાં આવેલો ઉછાળો

ના દવાખાના કે ના ડોકટરઃ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કોરોનાના દર્દીઓ કફોડી સ્થિતિમાં રહેવા મજબૂર, ઘણા ગામડામાં મહિનાથી સ્મશાનની ચિતા ઠંડી નથી પડી : રાજયમાં કોરોનાથી મોતને ભેટલા લોકોમાં ગ્રામ્ય વિસ્તારોનો હિસ્સો વધીને ૩૨ ટકા થયો : મોટાભાગના ગામડાં સૂમસામ થઈ ગયા, અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન : દવાખાના, ડોકટર અને ઓકિસજન વિના કોરોના સામે જંગ લડવો ગામડાં માટે મુશ્કેલ બન્યો

અમદાવાદ, તા.૫: મહેસાણાના કુકરવાડા ગામમાં ચૌદેક હજાર જેટલી વસ્તી છે. જોકે, છેલ્લા એક મહિનામાં અહીં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ ૪૫ જેટલા લોકોના મોત થઈ ચૂકયા છે. હાલમાં આ ગામમાં ૨૦૦ જેટલા એકિટવ કેસ છે. ગામમાં રહેતા ભરત પટેલ જણાવે છે કે તેમના પરિવારમાં પણ એક પછી એક લોકોને કોરોના થઈ રહ્યો છે, અને તેમનો ભત્રીજો કોરોનામાં મોતને ભેટી ચૂકયો છે.

આ સ્થિતિ ગુજરાતના કોઈ એક ગામડાં કે જિલ્લા પૂરતી મર્યાદિત નથી. કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારથી તે શહેરી વિસ્તારોની માફક ગામડાંમાં પણ વકર્યો છે, અને અનેક લોકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે. શહેરો કરતાં ગામડાંમાં સ્થિતિ વિકટ હોવાનું એક ઓર કારણ એ પણ છે કે શહેરોની સરખામણીમાં ગામડાંમાં સરકારી કે પ્રાઈવેટ મેડિકલ ફેસિલિટી સાવ ઓછી, અને કયાંક તો માત્ર કહેવા પૂરતી જ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

કોરોના આવ્યો ત્યારથી તેનો કહેર શહેરી વિસ્તારોમાં જ જોવા મળતો હતો. ગામડાં તેના પ્રકોપથી અત્યારસુધી બચેલા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. તેમાંય કોરોનાની બીજી લહેરમાં તો રોજેરોજ નોંધાતા કેસના ૩૭ ટકા કેસ ગુજરાતની આઠ મ્યુ. કોર્પોરેશન સિવાયના વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે, જેમાં મોટાભાગે ગામડાંનો સમાવેશ થાય છે. મર્યાદિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર અને જરુર કરતાં ખૂબ ઓછા ડાઙ્ખકટર ધરાવતા ગામડાં હાલ કોરોના સામે લાચાર સ્થિતિમાં મૂકાઈ રહ્યા છે.

૫ એપ્રિલથી ૪ મે સુધીના સમયગાળાની જ વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાથી જેટલા લોકોના મોત થયા છે, તેમાં ૩૨ ટકા મોત ગામડાંમાં નોંધાયા છે. અગાઉ આ પ્રમાણ માત્ર ૧૦ ટકા હતું, જેમાં માત્ર એક જ મહિનામાં ૨૨ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. ટાંચા સાધનો વડે કોરોના સામે જંગ ખેલી રહેલા ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો પોતાની મેળે જ સારવાર માટેની સવલતો ઉભી કરી રહ્યા છે.

ગોઝારિયા જેવા ગામમાં ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે, જેમાં ૨૦ ઓકિસજન બેડનો પણ સમાવેશ થાય છે. ૧૮ હજાર જેટલી વસ્તી ધરાવતા ગોઝારિયામાં હાલમાં જ ૧૪ જેટલા લોકોના મોત થયા છે. હાલ ગામમાં ૮૦ જેટલા એકિટવ કેસ છે.

કોરોનાનો રાફડો ફાટતાં હવે તેના પર લગામ કરવા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સક્રિય બન્યા છે. માસ્ક ફરજિયાત બનાવવા માટે કડક નિયમો બનાવાાયા છે, અને દ્યણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરાયું છે. પ્રાતિંજ નજીક આવેલા ૩૫૦૦ના વસ્તી ધરાવતા એક ગામના સરપંચ સોમાભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેમના ગામમાં તાજેતરના સમયમાં જ ૨૦ લોકોના મોત થયા છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ગામમાં હાલ ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું છે. લગ્ન તેમજ મરણપ્રસંગમાં લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

સ્મોલ ટાઉન ગણાતા રાધનપુરમાં પણ સ્થિતિ જરાય સારી નથી. અહીં પ્રેકિટસ કરતાં સ્થાનિક ડોકટર પિયૂષ નાઈના જણાવ્યા અનુસાર, તેમને ૮૮ વર્ષના એક દર્દીના દ્યરે ઓકિસજન મોકલવાનો હતો. તેમનો પરિવાર દર્દીને હોસ્પિટલ લાવવાની વ્યવસ્થા કરી શકે તેમ નહોતો. જયારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ ત્યાં સુધીમાં તો હોસ્પિટલમાં તમામ બેડ ભરાઈ ચૂકયા હતા.

સૌરાષ્ટ્રની સ્થિતિ પણ આ બાબતે સારી કહી શકાય તેવી નથી. ૧૮૦૦ના વસ્તી ધરાવતા રાજકોટ જિલ્લાના રાજપરા ગામમાં છેલ્લા એક મહિનામાં ૩૦ જેટલા લોકો કોરોનાથી મોતને ભેટી ચૂકયા છે. ગામના આગેવાન એન.ડી જાડેજાના જણાવ્યા અનુસાર, જો કોઈ બીમાર પડે તો તેને ૩૦ કિલોમીટર દૂર આવેલા રાજકોટ શહેરમાં લઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો.

ગ્રામ્ય વિસ્તારોમાં વણસેલી સ્થિતિ માટે આઈસોલેશન ફેસિલિટીનો અભાવ, ટ્રાન્સપોર્ટ તેમજ દર્દીને પ્રાથમિક સારવાર આપી શકે તેવા ડોકટર્સની કમી મુખ્યત્વે જવાબદાર છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ જણાવે છે કે, તંત્રનું ફોકસ હાલ આઈસોલેશન ફેસિલિટી વધારવાનું તેમજ યુદ્ઘના ધોરણે હેલ્થ ચેક-અપ શરુ કરવાનું છે. મૃત્યુદરને દ્યટાડવાના પ્રયાસોના ભાગરુપે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓકિસજન સપ્લાય વધારવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

એક વરિષ્ઠ પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, રાજય સરકારે પણ હવે ગામડાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટો પડકાર અપૂરતી ટેસ્ટિંગ ફેસિલિટીનો છે. લોકો ટેસ્ટ કરાવતા અચકાય છે, અને તેમને ટેસ્ટ કરાવવો હોય તો પણ તેની સવલત ગામમાં ઉપલબ્ધ નથી હોતી. લોકો તાવને હળવાશમાં લે છે, અને જાતે જ તેની દવા લઈ લે છે. જયારે તે ડોકટર પાસે જાય ત્યાં સુધી તો કોરોનાનું ઈન્ફેકશન ગંભીર સ્થિતિમાં પહોંચી ચૂકયું હોય છે.

(3:59 pm IST)