Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રોકડા રૂપિયા હોય તો જ પ્રિયજનોને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરજો

શું તમારી પાસે રોકડા રૂપિયા નથી? તો ખાનગી હોસ્પિટલમાં નહીં થઈ શકે કોરોનાની સારવાર : ખાનગી હોસ્પિટલો કેશલેસ કલેમ સ્વીકારવાનો કરી રહી છે ઈનકારઃ વીમા કંપનીઓએ બિલ નકારી કાઢયા બાદ કેશલેસ કોવિડ સારવાર બંધ કરી દીધીઃ હોસ્પિટલ અસોસિએશન :ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે રોકડ રકમ જમા કરાવવી જરૂરી બની ગઈ છેઃ જેના કારણે દર્દીઓના પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે

અમદાવાદ, તા.૫: કોરોનાની સારવાર કરાવવા માટે જો તમે તમારા પ્રિયજનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માગતા હો તો રોકડ રકમ પાસે રાખજો. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (IRDA) કેશલેસ કલેમ સ્વીકારવાના આદેશ છતાં, હોસ્પિટલ તેનું પાલન કરી રહી નથી અને સારવાર કરતાં પહેલા કેશ ડિપોઝિટ માગી રહી છે. હોસ્પિટલો તેમના દ્વારા મોકલેલા બિલની ભરપાઈ કરવામાં અને રાજય સરકાર અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરેલી રકમને જ મંજૂરી આપવા માટે થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સના (TPA)અસહકારનો હવાલો આપે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

ગત અઠવાડિયું મંદાર ફાંસે માટે અગ્રિપરીક્ષા સમાન રહ્યું હતું, જયારે એકસાથે તેના પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તેના જીજાજીનું નિધન થયું હતું પરંતુ ખાનગી હોસ્પિટલમાં બહેનને દાખલ કરવા માટે મોટી સંખ્યામાં રકમ એકઠી કરવામાં તેને ખૂબ મુશ્કેલી પડી હતી. હોસ્પિટલે કેશલેસ મેડિકલ કલેમ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

'મારી મોટી બહેન, તેના પતિ, તેમનો દીકરો અને મારી માતા કે જે તેમની સાથે છે તેઓ ગયા અઠવાડિયે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. મારી બહેન અને જીજાજીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં જીજાજીનું મૃત્યુ થયું હતું. ખાનગી હોસ્પિટલમાં મારી બહેન માટે બેડ શોધવા ચારેતરફ ભટકયા બાદ જાણ થઈ કે તેઓ કેશલેસ કલેમ સ્વીકારતા નથી. મેં રોકડ રકમની વ્યવસ્થા કરી બાદમાં જ તેને દાખલ કરવામાં આવી હતી', તેમ ફાંસેએ જણાવ્યું હતું. બહેન એકવાર ડિસ્ચાર્જ થઈ જાય બાદમાં ફાંસે રીએમ્બર્સમેન્ટ કલેમ ફાઈલ કરશે.

હોસ્પિટલ અસોસિએશને જણાવ્યું હતું કે, વીમા કંપનીઓએ તેમના બિલ નકારી કાઢ્યા બાદ તેમણે કેશલેસ કોવિડ સારવાર બંધ કરી દીધી છે.

'અમે અમારી સભ્ય હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં કેશલેસ સુવિધા આપતા નથી, કારણ કે TPA ઈન્શ્યોરન્સ કંપની માટે કામ કરે છે અને અમારા દ્વારા કરવામાં આવેલા દાવાઓની ભરપાઈ કરતા નથી. તેઓ ફકત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરેલા દરોને જ મંજૂરી આપે છે, જે વાસ્તવિક ખર્ચ કરતાં ઓછો છે', તેમ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનના (AHNA) ટ્રસ્ટી દિવ્યાંગ બ્રહ્મ ભટ્ટે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, 'કેન્દ્ર સરકારે ઓકિસજન માટે દર નક્કી કર્યો છે, પરંતુ અમને કોઈ તે દરે આપતું નથી. અમારે સરકારે નક્કી કરેલ દર કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે. સ્ટાફ વધારે પગાર માગતો હોવાથી અમારો ખર્ચ પણ વધી ગયો છે. મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ અને પેથોલોજી ટેસ્ટનો દર પણ વધ્યો છે.

સુવિધા ચલાવવા માટે અમારે રોકડ રકમની જરૂર પડે છે. ગયા વર્ષે અમે ઈન્શ્યોરન્સ કંપનીને મુદ્દાનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. તેથી અમે કેશલેસ સુવિધા આપતા નથી'.

(11:22 am IST)