Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મોબાઈલના વળગણને કારણે દંપતી વચ્ચે તકરાર

સુરતમાં દંપતી વચ્ચે મોબાઈલના લીધે તકરાર : મોબાઈલના કારણે અનેક સગવડતા આવી છે તેમ તેના દુષ્પરિણામ પણ છે જેની અસર માનવ સંબંધો ઉપર થઈ

સુરત, તા.૪ : મોબાઇલના વળગણના લીધે અનેક દંપતી વચ્ચેની ખટરાગ કોર્ટના દ્વારે પહોંચી રહી છે. સુરતમાં એક કેસમાં દંપતી વચ્ચેનો મામલો કોર્ટમાં આવ્યો હતો અને બાદમાં સમાધાન પણ થયું હતુ, પરંતુ સમાધાન ખૂબ જ વિચિત્ર હતું. લગ્નના છ મહિના સુધી સાસરે રહેલી નવવધૂ સાથે પતિનો એટલાં માટે ઝઘડો થયો હતો કે તેણી સતત મોબાઇલ પર જ એક્ટિવ રહેતી હતી. આથી દંપતી જૂદું રહેવા લાગ્યું હતું, સમાધાનની શરતો મુજબ પત્નીએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, તે સાસરે મોબાઇલ ફોન નહીં લઇ જાય, ઘરના કામ કરશે અને આદર્શ વહુની જેમ રહેશે. શહેરના સૈયદપુરાના તાજેતરના એક કિસ્સામાં મોબાઇલના કારણે થયેલા વિખવાદો બાદ પત્નીએ કેસ કરતા પતિની ધરપકડ થઈ હતી. બાદમાં પતિ-પત્ની વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા. વડોદરામાં રહેતી યુવતી અને સુરતના યુવકના લગ્ન થયા બાદ પતિ અને પત્ની બંને થોડા જ સમયમા લગ્નેતર સંબંધમાં પડયા હતા.

          પતિની પરસ્ત્રી સાથેની ચેટિંગ પત્નીએ જોઈ લેતા તેણે પિયર જઈ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આવા જ એક કિસ્સામાં પણ પતિ-પત્ની વચ્ચે ઝગડાનું મૂળ મોબાઈલ બન્યો હતો. પતિના આક્ષેપ મુજબ મોબાઇલના કારણે પત્ની છ મહિનાના શિશુનું ધ્યાન નથી રાખતી. કેસ વકીલ પાસે આવ્યો. સમાધાન માટે પતિએ કહ્યું કે મારી સાથે રહેવુ હોય તો મોબાઇલનો ત્યાગ કર. તો સુરતની અઠવાલાઇન્સમાં રહેતા દંપતીનો મામલો પણ આવો જ કંઈક છે જેમાં પણ પતિ પત્ની વચ્ચેના ઝગડાના મૂળમાં મોબાઈલ પણ એક મુખ્ય કારણ હતું. અહેવાલો મુજબ પતિ ઘર આવ્યા બાદ સતત મોબાઇલમાં જ રહેતો પત્ની કંઇ વાત કરે તો સાંભળે નહીં અને પછી પૂછે કે તે કશું કહ્યુ જ ક્યાં છે. આ વાતથી ઝઘડાં થયા અને હાલ કેસ કોર્ટમા છે.

(9:23 pm IST)