Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

અમદાવાદના સોલા વિસ્‍તારમાં ડબલ મર્ડરઃ લૂંટના ઇરાદે વૃદ્ધ દંપત્તિને મોતને ઘાટ ઉતારી દીધાઃ હત્‍યા કરનારા જાણભેદુ હોવાની શંકા

અમદાવાદ: ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લૂંટ, રેપ અને હત્યા જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના સોલા વિસ્તારમાંથી એક ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં થલતેજના શાંતિ પેલેસમાં વહેલી સવારે સિનિયર સિટીઝન દંપતિની ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિનિયર સિટીઝન અશોક પટેલ અને જ્યોત્સના પટેલ શાંતિ પલેસમાં એકલવાયું જીવન જીવતા હતા. જ્યારે તેમનો પુત્ર છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈમા રહેતો હતો. જ્યારે એક પુત્રી શહેરના નારણપુરા વિસ્તારમાં રહે છે. અશોક પટેલ અને જ્યોત્સના પટેલ પણ દુબઈ અને અમદાવાદ વચ્ચે અવારનવાર અવર જવર કરતા રહે છે.

આજે અશોક પટેલના ઘરમાં કોઈ ચહલપહલ ના જોવા મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જે બાદ તેમના દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક આવી પહોંચ્યો હતો અને તપાસ કરતાં વૃદ્ધ દંપતિની ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી.

અત્યારે તો લૂંટના ઈરાદે આ બેવડી હત્યા કરવામાં આવી હોવાનું માનીને પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં અલગ-અલગ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો હોવાથી ગુનામાં કોઈ જાણભેદુ હોવાની પણ શક્યતા છે. હાલ પોલીસે ફરિયાદ નોંધીને સિનિયર સિટીઝનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ગુનેગારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:37 pm IST)