Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

લોકસભા ચૂંટણી : કોંગ્રેસે સાત મહત્વની કમિટિ રચી

નારાજ અલ્પેશ ઠાકોરનો બધી કમિટિઓમાં સમાવેશ : લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં હવે પ્રચાર સહિતની બાબતોમાં ધમધમાટ : પ્રદેશના સિનિયર નેતાઓને સ્થાન

અમદાવાદ,તા.૫ : રાજ્યમાં એક તરફ કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તુટે તેવી જોવા મળી રહી છે. ત્યારે બીજીબાજુ, કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશ મુજબ, આ તમામ બાબતોને અવગણીને ગુજરાત કોંગ્રેસ સંગઠન લોકસભાની ચૂંટણી તરફ ફોક્સ કરી રહ્યુ છે. નજીકમાં આવી રહેલી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે સાત જેટલી સમિતિઓની રચના કરી છે. જેમાં, પ્રદેશના સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો આશ્ચર્ય સાથે પક્ષના સૌથી અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરનો સાતે સાત કમીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને ભારે ચર્ચા ચાલી છે. ઘણા લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરનો સાતેય કમિટીમાં સમાવેશ કરાતાં કોંગ્રેસના કેટલાક જૂથમાં આંતરિક ગણગણાટ શરૂ થયો છે. એટલું જ નહી, અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીના કન્વીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને કોઓર્ડિનેશન કમિટીમાં સ્થાન અપાયું છે. રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને બનેલી કો ઓર્ડિનેશન કમિટિમાં પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત ૩૬ નેતાઓના નામ સામેલ છે. તો, લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત ૨૮ નેતાઓનો સમાવેશ કરાયો છે. સાતેય કમીટીઓની રચના બાદ તેમાં સમાવાયેલા નેતાઓ અને હોદ્દેદારોને લોકસભાની ચૂંટણીને લઇ એકજૂટ થઇ પક્ષના પ્રચારમાં અને કોઇપણ સંજોગોમાં જીત માટે જોતરાઇ જવા સૂચના આપી દેવાઇ છે.

કઇ કમિટિમાં કોણ.....

૧. કોઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત ૩૬ નેતાઓના નામ સામેલ છે

૨. લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત ૨૮ નેતાઓનો સમાવેશ છે

૩. પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય ૪૩ નેતાઓને સ્થાન અપાયું છે

૪. પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય ૨૭ નેતાઓને સ્થાન મળ્યું છે

૫. મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે ૧૫ કાર્યકરોના નામ સામેલ છે

૬. ચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે ૯ નેતાઓને સ્થાન અપાયું છે

૭. ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને ૨૨ નેતાઓના નામ સામેલ છે

(8:22 pm IST)