Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

બીએસસીમાં પ્રવેશ પદ્ધતિ સામે પ્રશ્નથી વિવાદ વકર્યો

ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી : સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ કરતા ખાનગી કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં લાભ આપવામાં આવતો હોવાનો આક્ષેપ

અમદાવાદ,તા.૫ : ગુજરાત યુનિવર્સિટી હસ્તક આવેલી બીએસસી કોલેજમાં ચાલતી પ્રવેશ પદ્ધતિ સામે અધ્યાપક મંડળ દ્વારા સવાલો ઉભા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ કરતા ખાનગી કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં લાભ આપવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હાલની પ્રવેશ પદ્ધતિમાં રહેલી ખામીઓને લઈ અધ્યાપક મંડળ સતત ગુજરાત યુનિવર્સિટીને રજૂઆત કરી રહ્યું છે. તો સાથે જ પ્રવેશ પ્રક્રિયામાં સુધારો ન કરાતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ માર સહન કરવો પડી રહ્યો છે. તો સાથે જ ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓ ઘટતા અધ્યાપકો પર ફાઝલ થવાનો ભય તોળાઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક મંડળ દ્વારા કરાયેલી રજૂઆત મુજબ ફાર્મસી, એન્જિનિયરીંગ, નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો બીએસસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો તેનો લાભ વિદ્યાર્થીઓને થઈ શકશે.

અધ્યાપક મંડળ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓ ૫૦૦ રૂપિયા ભરી પ્રવેશ મેળવી લે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પાછળથી ફાર્મસી, એન્જિનિયરીંગ તેમજ નર્સિંગ જેવા જુદા જુદા કોર્સમાં પ્રવેશ લઈ લે છે અને બીએસસીમાંથી પ્રવેશ રદ્દ કરાવતા નથી. આવા વિદ્યાર્થીઓની બેઠક મ્.જીષ્ઠ.ની કોલેજોમાં ખાલી પડે છે. જેના પર અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાતો નથી. જેના કારણે શરૂઆતમાં ગ્રાન્ટેડ કોલેજોમાં સીટ ભરાયા બાદ અચાનક જ ૫૦ ટકા સીટો ખાલી થઈ જાય છે. આ અંગે વધુ જાણકારી અપાતા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, ખામીયુક્ત પ્રવેશ પ્રક્રિયાને લીધે ૩ વર્ષ પહેલાં ગ્રાન્ટેડ કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વર્કલોડ વધુ હતો.

ગ્રાન્ટેડ કોલેજોમાં કેમેસ્ટ્રી વિભાગમાં ૫ થી ૭ અધ્યાપકોની ઘટ હતી. પરંતુ  હવે ૩ વર્ષ બાદ હવે ૭ અધ્યાપકોની જરૂરિયાત સામે માત્ર ૩ અધ્યાપકોની જરૂરિયાત હોય તેવી સ્થિતિ ઉભી છે. બે ડિવીઝન ચાલતા હતા, ત્યાં હવે એક ડિવીઝન બંધ થાય તેવી સ્થિતિ ઉદ્ભવી ચૂકી છે. બેઠકો ખાલી છે, પરંતુ ખામીઓને કારણે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લઈ શકતા નથી અને ખાનગી કોલેજમાં વધુ ફી ભરી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પ્રવેશ સમિતિ દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ જાહેર કરી દેવાઈ છે. ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લીધા બાદ કેટલા વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો અને કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

(9:17 pm IST)