Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પતંગો થકી લોકો સુધી કોરોના અંગેની જાગૃતિના સંદેશ પહોંચાડવાની કામગીરીઃ આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો દેખાયા

સુરત: વર્ષ 2020 માં કોરોનાની અસર દરેક તહેવાર પર દેખાઇ છે. ત્યારે હવે કોરોનાએ 2021માં સૌથી પહેલા આવતા તહેવાર મકરસંક્રાંતિના પતંગ ઉપર પણ છાપ છોડી છે. ગુજરાતના પતંગ બજાર પર મંદીના વાદળો મંડરાઈ રહ્યા છે. કોરોનાને કારણે પતંગનું માર્કેટ સાવ ડાઉન થઈ ગયું છે. પરંતુ છતા લોકોમાં જુસ્સો આવે તેવી પતંગો બનાવવામાં આવી છે. આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગ જોવા મળી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને કોરોનાની છાપવાળા પતંગોએ આ વર્ષે આકર્ષણ જમાવ્યું છે. આ પતંગો થકી લોકો સુધી કોરોના અંગેની જાગૃતિનો સંદેશ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી સેનેટાઈટર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. આ વગર હવે જીવવું લગભગ અશક્ય છે. આદિકાળથી પતંગોનો ઉપયોગ સમાજિક સંદેશ આપવા માટે થતો આવ્યો છે. તો આજના સમયમાં પણ લોકો પોતાની પતંગો પર મેસેજ લઈને છોડે છે. ત્યારે હવે કોરોનાથી અવેરનેસ લાવવા માટે પતંગોનો સહારો લેવામાં આવ્યો છે. કોરોના મહામારી બાદ એકમાત્ર ઉત્તરાયણનો તહેવાર એવો છે, જેમાં લોકો પોતાના ધાબા પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવણી કરી શકે છે. તો સાથે જ લોકોમાં પણ આ તહેવારનો ઉત્સાહ છે. તેથી જ હવે ઉત્તરાયણમાં કોરોનાના પતંગ ધૂમ મચાવશે.

તો સાથે જ લોકોને પણ આવી પતંગો ખરીદવામા રસ જાગ્યો છે. દુકાનદાર હરદેવભાઈ મહીડાના જણાવ્યા અનુસાર, આવા પતંગોના કારણે લોકોને કોરોના અંગે એક મેસેજ પણ પૂરો પાડવામાં આવ્યો છે કે હજુ પણ કોરોના ગયો નથી. એટલે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો સાથે અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ અનિવાર્ય છે.

પતંગ બજારમાં મંદી

કોરોનાની અસર લગભગ બધા તહેવાર પર થઈ છે. ત્યારે પતંગ બજારના વેપારીઓએ પહેલેથી જ પતંગોનું ઉત્પાદન ઓછું કર્યું છે. પતંગ બજારમાં પણ મંદીના વાદળો હોવાથી માર્કેટમાં ઓછી પતંગો આવી છે. જેથી તેની સીધી અસર પતંગના ભાવ પર પડી છે. આ વર્ષે પતંગના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. તો સાથે જ ફિરકીના ભાવ પણ વધી ગયા છે. તો રિટેલમાં ગ્રાહકોની જોઈએ એવી ખરીદી પણ નથી. રિટેલ જ નહિ, હોલસેલમાં પણ પતંગોના દામ ઉંચા છે. ભાવવધારાની અસર તહેવાર પર સ્પષ્ટ જોવા મળી શકે છે. તો બીજી તરફ, પતંગ બજારમાં મોટાભાગે રાત્રે ખરીદી થતી હોય છે. પરંતુ રાત્રિ કરફ્યૂ હોવાને કારણે ખરીદી પર પણ બ્રેક લાગી છે.

(5:02 pm IST)