Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના 25 હેલ્‍થકેર વર્કરો-નિષ્‍ણાંત તબીબો અને કોર્પોરેશનની ટીમ દ્વારા કોરોના વેક્‍સીનની ડ્રાયરન

અમદાવાદ: સમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યુ છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ડ્રાય રન એટલે કે વેક્સિનેસન કામગીરીનો પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 25 હેલ્થકેર વર્કરોમા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ડ્રાય રન હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં તૈયાર કરાયેલ વેક્સિનેટરમાં સમગ્ર પ્રક્રિયાનું સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતુ.

આ ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ Co-Win સોફ્ટવેરમાં નામાંકન થયેલ હોય છે. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. જે બાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરિયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.

પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનું વેક્સિનેસન માટે અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે.  આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય, ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાતા વેક્સિન લેનાર વ્યક્તિને ICUમાં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયાની ડ્રાય રન પ્રત્યક્ષ કરાવીને આગામી સમય માટેની કોરોના રસીકરણની પ્રક્રિયાની સંપૂર્ણ તૈયારીની પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદી કહે છે કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજવામાં આવી રહી છે.જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અમદાવાદ મમ્યુનિસિપિલ કોર્પોરેશનના સહયોગથી અમારા જૂના ટ્રોમાં સેન્ટર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આગામી સમયમાં અમારી સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકના કુલ 7000 સ્ટાફમિત્રો, હેલ્થકેર વર્કરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે માટે અમારા જૂના ટ્રોમા સેન્ટર સમગ્ર પ્રક્રિયાને વધુ સધન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે.  રાજ્ય સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ડૉ. જે.પી. મોદીએ ઉમેર્યુ હતુ.

(4:58 pm IST)