Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન પેટે રાજ્ય ફંડથી સહાય કરાશે

૧૦મીથી સહાય ચુકવવા જિલ્લાતંત્રને આદેશઃ અસરગ્રસ્ત ૯૬ તાલુકાઓમાં વિવિધ સહાય યોજના હેઠળ ૨૨ લાખ લોકોને અંદાજે ૩૨૦૦ કરોડની સહાય ચુકવાશે

અમદાવાદ,તા.૪: હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ જેવાં અનેકવિધ નિર્ણયો કર્યાં છે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારો માટે આગોતરા આયોજન સાથે સંવેદનશીલ નિર્ણયો લઈ ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના ૪૦૦ મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા ૧૬ જિલ્લાના ૪૫ તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સામાં ખેડૂતોને પાકમાં થયેલ નુકશાન પેટે રાજ્ય ફંડમાંથી કૃષિ ઈનપુટ સહાય ચુકવવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે. જેને કારણે અસરગ્રસ્ત તાલુકાઓમાં ૨૨ લાખથી વધુ લોકોને અંદાજિત ૩૨૦૦ કરોડ જેટલી રકમ વિવિધ સહાય યોજના હેઠળ લાભ મળશે. મહેસૂલ મંત્રી પટેલએ ઉમેર્યું કે, ૧૦ જાન્યુઆરી સુધીમાં અસરગ્રસ્ત ૯૬ તાલુકાના ખેડૂતો અને પાંજરાપોળ / ગૌશાળાઓને સહાય ચુકવાય તે માટે ૨૦૦૦ કરોડથી વધુ ગ્રાંટ અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્રને ફાળવવામાં આવી છે.

(10:10 pm IST)