Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કબીર મંદિરના મહંતે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

મંદિરના શ્રદ્ધાળુ ભકતોમાં પણ શોકની લાગણી : મહંતે કયા કારણોસર આત્મહત્યા કરી તેના સાચા કારણો જાણવાની દિશામાં પોલીસની ચકાસણી : અટકળોનો દોર

અમદાવાદ,તા. ૪ : છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબીર મંદિરના મહંત વિનય સાહેબે મંદિર પરિસરમાં જ ફાંસો લગાવી પોતાના જીવનનો અંત આણતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, હજુ સુધી તેમના આપઘાત પાછળનું કારણસામે આવ્યું નથી પરંતુ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને મહંતે કયા કારણસર આત્મહત્યા કરી હોઇ શકે તેના સાચા કારણો જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટાઉદેપુર ખાતે પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબીર મંદિરના મહંત વિનય સાહેબ મૂળ તો ઝારખંડના રહવાસી હતા પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી તે અહીં રહી મંદિરની સેવાઓમાં લાગ્યા રહેતા હતા. તેમણે ગત સાંજે જ મંદિર ખાતે આવેલા પરિસરમાં જ તેમણે પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેઓ અહીં પૂજા અર્ચના કરતાં હતા. તેમણે કરેલી આત્મહત્યાની વાત સામે આવતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખાસ કરીને મંદિરના શ્રદ્ધાળુ ભકતોમાં મહંતની આત્મહત્યાને લઇ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મહંતની આત્મહત્યા અંગે હજુ કોઈ કારણ સામે આવી શક્યું નથી. સ્થાનિક પોલીસે તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો અને આત્મહત્યાના કારણની દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.

(8:36 pm IST)