Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમદાવાદ સહિત રાજ્યના વકીલ ઉગ્ર વિરોધ નોંધાવશે

દિલ્હીમાં વકીલો પરના હુમલાને વખોડાયો : છઠ્ઠીએ અમદાવાદ સહિત રાજયભરના વકીલો પોતાના કોટ પર લાલ પટ્ટી ધારણ કરી વિરોધ કરવા માટે સુસજ્જ

અમદાવાદ, તા.૪ : નવી દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા નજીવી બાતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબારના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ દિલ્હી પોલીસની કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરી તેને વખોડી કાઢી છે અને તા.૬ઠ્ઠી નવેમ્બરના રોજ અમદાવાદ શહેર સહિત રાજયભરના વકીલોને ઉપરોકત ઘટનાના વિરોધમાં કોર્ટ સમય દરમ્યાન તમામ વકીલોએ પોતાના કોટ પર લાલ પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ વ્યકત કરવા આહવાહ્ન કર્યું છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, શનિવારે નવી દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા નજીવી બાતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક વકીલો ઘાયલ થયા હતા.,

                એક વકીલમિત્રને ગોળી પણ વાગી હતી. આ સમગ્ર બનાવ અંગે દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી દિલ્હી પોલીસ કમિશનરને ઇજા પામનાર વકીલોના સ્ટેટમેન્ટ લઇ તેના આધારે જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે એફઆઇઆર દાખલ કરવા અને સરકારને ઇજા પામેલા વકીલોને સારી સારવાર અને વળતર આપવા નિર્દેશ કર્યા હતા. ઉપરાંત સમગ્ર મામલામાં જયુડીશીયલ ઇન્કવાયરી માટે એસ.પી.ગર્ગની નિમણૂંક કરાઇ હતી. સાથે સાથે આ કેસમાં છ સપ્તાહમાં ઇન્કવાયરી પૂર્ણ કરી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને બે પોલીસ અધિકારીની બદલી કરવાનો દિલ્હી પોલીસ કમિશનરને હુકમ કર્યો હતો. તો, કોઇપણ વકીલની સામે સખત પગલા નહી ભરવા પણ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. આ નિંદનીય ઘટનાના વિરોધમાં તા.૬ઠ્ઠી નવેમ્બરે ે અમદાવાદ સહિત રાજયભરના વકીલો પોતાના કોટ પર લાલ પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. દિલ્હી બાદ કાનપુરમાં પણ આજે પોલીસના વકીલો સાથેના ઘર્ષણને લઇને પણ બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ભારે વિરોધ નોંધાવી આવી ઘટનાને નિંદનીય અને વખોડવાપાત્ર ગણાવી હતી. હાલમાં વકીલો અને પોલીસ વચ્ચે દિલ્હીમાં તીસહજારી સંકુલ ખાતે ભારે હોબાળો થયો હતો તેમની વચ્ચે સંઘર્ષમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

(8:30 pm IST)