Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિરમગામના વિવિધ વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીમાં બળેલા ઓઇલનો છંટકાવ કરાયો

માવઠા બાદ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં દિવાળીના તહેવારો બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિસ્તારોમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

   અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ વિરમગામ શહેરના અલબદર, નુરી સોસાયટી, ગોળપીઠા સહીતના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લોકોને મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોથી બચવા માટેના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.

  આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે. એમ. મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દૈવિક, સુપરવાઇઝર કાંતિભાઈ ઠાકોર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં  એબેટ કામગીરી અને ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

        તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતું કે, ડેન્ગ્યુ તાવનો મચ્છર એડીસ ઇજીપ્તી મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ.  

   મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે શરીરના અંગોને ઢાકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ, મચ્છરથી રક્ષણ આપતી અગરબત્તીનો ઉપયોગ કરવો, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો જોઇએ. હવાચુસ્ત ઢાંકણવાળા વાસણમાં પાણીનો સંગ્રહ કરવો. પાણીની ટાંકી, ફુલદાની, ફ્રીજની ટ્રે, પાણીના કુંડા સહિતના પાત્રો અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવા જોઇએ.

(7:25 pm IST)