Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'મહા'ને નાથવા રૂપાણી સરકારે કરી તૈયારી : દિલ્હી અને હરિયાણાથી ટીમો આવી પહોંચી

NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરાઈ :10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે

અમદાવાદ : મહા વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લાના તમામ અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. સવારથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વધુ સક્રિય બન્યું છે. મગફળીના તૈયાર પાકને નુકસાન ના પહોંચે તે માટે તલાટીઓ અને ગ્રામ સેવકોને સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તૈયાર પાકને ઢાંકી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો આ તરફ રાજકોટ મનપનો આગતરો એક્સન પ્લાન તૈયાર કરી લેવામા આવ્યો છે.. મનપાનું ફાયર એન્ડ ઇમર્જન્સી તંત્ર એલર્ટ પર છે. સાથે જ 5 રેસ્ક્યુવાન અને એક રેસ્ક્યુક્રેન સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ 8 ફાયર સ્ટેશન ખાતે ઇમર્જન્સી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિમાં રોશની વિભાગ, ફાયર વિભાગ રાઉન્ડ ધી ક્લોક ખડે પગે રાખવામાં આવશે.

મહા વાવાઝોડાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે ત્યારે વેરાવળ બંદરની જેટી પર હજારો બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 10,500 જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયનસ્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. મહા વાવાઝોડાને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેને પગલે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.

રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. 10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. તેમજ સોમનાથ- વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. પોરંબદર, વેરાવળ, સોમનાથ ગીર, અમરેલી, જામનગર. દ્વારકા સહિતના અન્ય દરિયા કાંઠે NDRFને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અત્યારથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે.

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયક્લોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી તારીકે મધારેત ગુજરાત કાંઠે ટકરાય શકે છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ પડી શકે છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સામાન્ય સંજોગોમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે, તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ સ્થળાંતર કરવા માટેની સુચના આપવામાં આવી છે.

(2:00 pm IST)