Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમદાવાદમાં રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ તો ફાળવાઇ પરંતુ સમારકામ ન થતા વાહનચાલકોની હાલત કફોડી

અમદાવાદ :ગત મહિનામાં રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરોમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓને સરખા કરવા 216 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ નઘરોળ પ્રશાસને હજુ સુધી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું નથી. સવાલ એ નથી કે નવા રસ્તા બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. સવાલ એ છે કે દર વર્ષે કેવી રીતે નવે નવા રસ્તા તૂટી જાય છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે ત્રણ વર્ષ સુધી રસ્તા રિપેર કરાવવાની શરત રખાય છે, પરંતુ રસ્તા રિપેર કરે છે કોણ...? પાટનગર ગાંધીનગરના રસ્તા ખરાબ નથી થતા તો શહેરના અને ગામના રસ્તા કેવી રીતે ખરાબ થઈ જાય છે? શું પાટનગરના રસ્તા સારા બનાવવામાં આવે છે? શું ગામડાં અને શહેરના રસ્તા ખરાબ બનાવવામાં આવે છે? ચોમાસાને કારણે રસ્તા પર ઠેરઠેર ખાડા પડેલા છે. આ ખરાબ રસ્તાઓ ખેલૈયાઓના મણકા  તોડી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું લંબાયું હોવાના નામે નવા રસ્તાઓનું કામ શરૂ નથી થયું. પણ હવે નવરાત્રિ અડધી પૂરી થઈ ગઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હતો. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 60 કરોડ, સુરતને રૂ. 50 કરોડ, વડોદરાને રૂ. 35 કરોડ, રાજકોટને રૂ. 25 કરોડ, ભાવનગરને રૂ. 15 કરોડ, જામનગરને રૂ. 15 કરોડ, જુનાગઢને રૂ. 6 કરોડ અને ગાંધીનગરને રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમિયાન મહાનગરોમાં માર્ગોને થયેલા નુકસાનની દુરસ્તીના કામો નવરાત્રિ દરમ્યાન શરૂ કરી દેવાશે. આમ રાજ્યના નાગરિકોને ખખડધજ રસ્તાઓમાંથી નવરાત્રિ બાદ મુક્તિ મળશે.

મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 500 કરોડની ગ્રાન્ટની જોગવાઈ

ઉલ્લેખનીય છે કે, 2019-20ના વર્ષ માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 500 કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસતિના આધારે કુલ રૂ. 241.50 કરોડ અને નગરપાલિકાઓને કુલ રૂ. 258.50 કરોડ ફાળવવાના થાય છે.

રાજ્યની નગરપાલિકાઓને આ ગ્રાન્ટની રકમ તેમની જરૂરિયાતના આધારે GUDM(ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન) મારફત ફાળવવામાં આવે છે. મહાનગરપાલિકાઓના કિસ્સામાં આવી રકમની સીધી જ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

(5:13 pm IST)