Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગીરમાં ઉપરાછાપરી ૨૩ સિંહોના મોત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી/ગાંધીનગર: ગીરમાં ઉપરાછાપરી થેયલા સિંહોના મોતના મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કરી કેન્દ્ર અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. મહત્વનું છે કે, છેલ્લા 20 દિવસમાં ગીરમાં 23 સિંહોના મોત થયા છે, જેને સુપ્રીમ કોર્ટે ખૂબ જ ગંભીર બાબત ગણાવી છે. જસ્ટિસ મદન બી લોકુરની બેન્ચે સિંહોના મોતનું કારણ શોધી તેને અટકાવવા સરકારને ટકોર કરી છે.

સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્ય સરકારને ચાર સપ્તાહની અંદર રિપોર્ટ પણ આપવા જણાવ્યું છે. દેશભરમાં આવેલા જંગલોના સંરક્ષણ માટે કરાયેલી એક PIL પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે ગીરમાં જે થઈ રહ્યું છે તે ઘણું ગંભીર છે, અને સિંહોના મોતને અટકાવવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નાદકર્ણીને કહ્યું હતું કે, સિંહોની રક્ષા થવી જોઈએ, કેમ આટલા બધા સિંહો મરી રહ્યા છે?

કોર્ટના આ સવાલ પર નાદકર્ણીએ જણાવ્યું હતું કે, તેમને આ અંગે કોઈ માહિતી નથી. તેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, તમામ અખબારોમાં આ અંગે સમાચાર આવ્યા છે. ગીરમાં સિંહો રોજેરોજ મરી રહ્યા છે. નાદકર્ણીએ આ અંગે કોર્ટ પાસેથી સમય માગતા કોર્ટે તેમેન એક સપ્તાહોન સમય આપ્યો હતો, અને ગુજરાત સરકાર તરફથી પણ આ અંગે સ્પષ્ટતા માગી હતી.

ગુજરાત સરકારના વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કાલ સુધીમાં અમેરિકાથી મગાવાયેલી રસી પણ આવી જશે. અત્યાર સુધીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 600 જેટલા સિંહોનું સ્ક્રિનિંગ કરી લીધું છે, અને જેમને ચેપ લાગ્યો છે તેવા સિંહોને અલગ કરવાનું કામ શરુ કરી દેવાયું છે. હાલ 33 સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

ગણપત વસાવાએ દાવો કર્યો હતો કે, કેટલાક સિંહોના મોત ઈનફાઈટમાં થયાનું પણ પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જ્યારે ચાર જેટલા સિંહોના પીએમ રિપોર્ટમાં વાયરસ હોવાનું જાણવા મળ્યું છે. હાલ 3000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું હોવાનું પણ વસાવાએ જણાવ્યું હતું.

નિષ્ણાંતોના મતે આ ઘટના બાદ ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાના પ્રોજેક્ટમાં વધુ મોડું ન થવું જોઈએ. સિંહોના સંરક્ષણ માટેની સમિતિના સભ્ય રવિ ચેલ્લમનું કહેવું છે કે, ગીરના સિહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમને મધ્યપ્રદેશ ખસેડવા જરુરી છે, સિંહોનો મોતની ઘટના બાદ હજુ કેટલા પુરાવા જોઈએ છે?

મહત્વનું છે કે, અમેરેલી જિલ્લાની દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયોસિસ ઈન્ફેક્શનને કારણે 20 દિવસમાં 23 સિંહો મોતને ભેટ્યા છે, અને ત્રણ સિંહોની હાલત ગંભીર છે. કેટલાક સિંહોને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવ્યા છે.

(5:28 pm IST)