Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા લૂંટાયા : પરેશ ધાનાણી

ભાજપની ખેડૂત વિરોધી નીતિ અને કુદરત રૂઠતા ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા

  અમદાવાદઃ કોંગ્રેસ ભાજપ પર તેની ખેડૂત વિરોધી નીતિઓને લઈને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થઈ ગયા છે. વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિ અને કુદરત રૂઠતા ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા છે.

અપ્રમાણસર વરસાદથી થયેલ નુકસાન અંગે આજરોજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ, કેશોદ તાલુકાના બામણાસા, સરોડ, અખોદર, બાલાગામ, માંગરોળ તાલુકાના ઓસા ઘેડ તેમજ માળિયા હાટીના તાલુકાના ગડુ ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને થયેલ નુકસાનની માહિતી મેળવીને ખેડૂતોને વેદના સાંભળી હતી

ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે રોડ કાંઠે છગનબાપાના ખેતરની મુલાકાત લીધી હતી. છગનબાપા 10 વીઘાના ખાતેદાર ખેડૂત છે. તેઓ તાણી તુંસીને મોંઘા ભાવનું મગફળીનું બિયારણ લાવ્‍યા. 1,700થી 2,500 રૂપિયાના મણ ભાવે દાણા મળતા હતા. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, ખેડ, મજુરી આ બધું થયા પછી આજે 4 સપ્‍ટેમ્‍બરના રોજ ખેતરના પડામાં ઉભા છીએ ત્‍યારે મગફળી જ્‍યાં એક ખાંડી એટલે 20 મણ ઉતારો આવવાની અપેક્ષા હતી તેના બદલે બિયારણના પૈસા પણ પાછા મળે તેમ નથી તેવી સ્‍થિતિ છે.

અરે બિયારણ તો એકતરફ રહ્‌યું ઢોરના મોઢે પાલો પણ નહીં થાય એવી લીલા દુકાળની પરિસ્‍થિતિનો વિસ્‍તારના લોકો સામનો કરી રહ્‌યા છે. જ્‍યાં સોયાબીનનો 15-70-20 મણનો ઉતારો થવાની ગણતરી હતી, ત્‍યાં આજે સામે છોડ છે, પરંતુ ખેતરના સારામાં સારા છોડમાં એક સીંગનો દાણો દેખાતો નથી. મારો જગતનો તાત કરશે શું ?

ધાનાણીએ જણાવ્‍યું હતું કે, જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્‌યો છે. એક તરફ સરકાર સત્તાના મદમાં ભાન ભુલી લોકોની સમસ્‍યાઓની અવગણના કરી રહી છે. બીજી બાજુ જગતનો તાત ઉછીના વ્‍યાજે રૂપિયા લાવી મોંઘા ખાતરણ, બિયારણ દવા લાવીને વાવેતર કરેલ, કુદરત પાસે અપેક્ષા હતી કે 16 આની વરસ થશે તો જીવનના બે છેડા ભેગા થશે.

કમનસીબે કુદરત પણ આજે કોપાયમાન થઈ છે. જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં 162% કરતાં વધુ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત જ્‍યાં જુઓ ત્‍યાં વરસાદે તબાહી બચાવી છે અને અંદાજીત ૨૫ હજાર કરોડ રૂપિયા ખાતર, બિયારણ, દવા, ખેડ, પાણી અને મજૂરીમાં ખેડૂતોના તણાઈ ગયા છે ત્‍યારે સત્તાના મદમાં ભાન ભુલેલી ભાજપ સરકારે તાત્‍કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ તેવી માંગણી ધાનાણીએ કરી હતી.

(9:54 pm IST)