Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નર્મદા જીલ્લાના નાંદોદ,તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના 71 ગામોની 3100 હેક્ટર જમીનમા પાકને નુકશાન

ખેડુતોને તાત્કાલીક વળતર સહિત ખેડુતોના દેવા અને પાક લોનના વ્યાજ માફ કરવાની ધારાસભ્ય પી.ડી. વસાવાની માંગ: મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને આ કુદરતી આફત માથી ઉગારવા કરી રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અતિભારે વરસાદ અને કરજણ તથા નર્મદા ડેમ માંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડતા નર્મદા તેમજ કરજણ નદીના કિનારે આવેલા ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોના ઉભા પાકમાં થયેલ નુકશાનનું તાત્કાલિક વળતર ચુકવવા સહિત ખેડુતો ના દેવા અને પાક લોન ના વ્યાજ માફ કરવાની માંગણી સાથે નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી આ ખેડુતો ને કુદરતી આફત માથી ઉગારવા રજુઆત કરી છે.
  નર્મદા ડેમ તેમજ કરજણ ડેમ માંથી વધારે પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા,કરજણ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર,નાંદોદ, અને તિલકવાડા તાલુકાના નીચે જણાવેલ ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા કપાસ,કેળા,શેરડી,દિવેલા,બાજરી, જુવાર,તુવર,પપૈયા જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.ત્યારે આ ગામોના ખેડુતોનું જીવન ખેતી પર જ નિરભર છે. બીજી કોઈ આવક કે ધંધો ન હોવાને કારણે તેમની કફોડી હાલત છે.ખેડુતોને આવી મુશ્કેલી માંથી ઉગારવા પાક નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને તુરંત વળતર ચુકવવાની જોગવાઈ કરાવવી જોઈએ.ખેડુતોને ખેતી વિષયક દેવું માફ કરવું જોઈએ.પાક લોન પરનું વ્યાજ પણ માફ કરવુ જોઈએ.એવી ખેડુતો ની તેમજ પોતાની પણ માંગણી હોવાનું રાજપીપળા (નાંદોદ)ના ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી જણાવ્યું છે
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના 45 ગામડાના ખેડુતોની 2325 હેક્ટર જમીનમા ખેતીમાં નુકશાન થયું છે જ્યારેતિલકવાડા તાલુકાના 18 ગામના ખેડુતો ની 500 હેક્ટર જમીન મા પાક ને ભારે નુકસાન તેમજ ગરુડેશ્વર તાલુકા ના 8 ગામના ખેડુતોને વિયર ડેમના લીધે 277 હેક્ટર જમીન મા પાક ને ભારે નુકસાન થતા ખેડુતો પાયમાલી ની કગાર ઉપર આવેલ છે.જેથી ખેડુતો ને તાત્કાલીક વળતર સહાય ની માંગ મુખ્યમંત્રી ને પત્ર લખી કરી છે.

(8:24 pm IST)