Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અમદાવાદમાં દશામાની મૂર્તિનુ ઘરમાં જ કરવુ પડશે વિસર્જન :સાબરમતીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો

લોકો ટોળામાં શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિનું વિસર્જન ન કરે એવી અમદાવાદ પોલીસની અપીલ

અમદાવાદ :  આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પણ સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા કેટલાક નિયંત્રણો ધીમે ધીમે હટાવી પણ દેવામાં આવ્યાં છે. આગામી 8મી ઓગસ્ટથી દશામાના તહેવારો પ્રારંભ થવાના છે. દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ સાબરમતી નદીમાં કે કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય. શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિની સ્થાપન અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે તેમજ વ્યક્તિઓ કે ટોળામાં શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિનું વિસર્જન ન કરે એવી અપીલ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસના જણાવ્યા મુજબ આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા નથી અને સાબરમતી નદીમાં લોકો દશામાની મૂર્તિઓ વિસર્જન નહિ કરી શકે.

(12:47 am IST)