Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગુજરાતમાં ૨ લાખ ૬૬ હજાર પરિવારોએ સોલાર રૂફટોપ લગાવ્યા : ૧૬૪૦ કરોડની સબસિડી અપાઇ : ૧૫૦૦ કરોડની સહાય

લોકો હવે વીજ ઉત્પાદન કરતા થયા : ૧ હજાર મેગાવોટના સોલાર રૂફટોપ સ્થાપિત : ઊર્જા મંત્રી દ્વારા અભિનંદન

રાજકોટ તા. ૪ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા ખાતે સોલર પાર્કના ઉદ્દઘાટન વખતે વર્ષ ૨૦૧૨ માં એટલે કે આજથી ૯ વર્ષ પહેલા એક સપનું સેવેલું કે મારા ગુજરાતમાં સોલર રૂફટોપ યોજના થકી મધ્યમ વર્ગના સામન્ય પરિવારો જે પોતાની જાત-મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે તે એક દિવસ પોતાના ઘરે-ઘરે વીજળી ઉત્પન્ન કરવાના નાના-નાના કારખાનાનો માલિક બનશે.

ઊર્જા મંત્રીએ જણાવ્યુ કે મને ખૂબ જ હર્ષ અને ગર્વથી કહેવાનું મન થાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોયેલું આ સપનું હવે હકીકતમાં બદલાયું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્વ હેઠળ ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા તથા પર્યાવરણના જતનના ભાગરૂપે સૂર્ય-ગુજરાત યોજના લાગુ કરી અને તા. ૨જી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ રાજયમાં રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧,૦૦૦ મેગાવોટથી વધુ પણ વધુ થવા પામી છે. અને કુલ ૨.૬૬ લાખથી વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઇ ચુકી છે. આ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૬૪૦ કરોડની સબસીડી આપવામાં આવેલ છે. રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં ૯૩૨ મેગાવોટની ક્ષમતા માટે રૂ. ૧૫૩૦ કરોડની સહાય પણ મંજૂર કરવામાં આવેલ છે જેમાં પણ રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સમગ્ર ગુજરાત રાજયની જનતાના ઉત્સાહ અને કંઇક નવું કરવાની ખુમારીને લઇને આપણા રાજયે એક ગૌરવપૂર્ણ સીમાચિહન પાર પાડ્યું છે.

સૂર્ય-ગુજરાત યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ૪૦% સુધીની સબસીડી આપવામા આવે છે અને આ સબસીડીનો લાભ લઇ વધુ ને વધુ પરિવારો તેમના ઘર ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે તે આપણા સૌ માટે ખૂબ ગૌરવરૂપ ઘટના છે.

ગુજરાતમાં વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળી ઉપયોગ કરીને વધારાની વીજળી વેચી વધારાની આવક મેળવે છે.

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્રીન એનર્જી કલીન એનર્જીના નિર્માણ ક્ષેત્રે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે રાજયમાં કેન્દ્ર સરકારના સહયોગથી રૂફટોપ સોલાર યોજના કાયર્િાન્વત કરી છે. રાજય સરકાર દ્વારા ગ્રીડ કનેકટેડ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સોલાર રૂફટોપ યોજનાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં દેશમાં ૪૦ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે. જેમાં ગુજરાત મહત્વનો રોલ અદા કરશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રૂફટોપ લાભાર્થીઓને યોજના અંગેની જાણકારી અને જાગૃતિ માટે તથા તેના ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરવાના સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

(4:11 pm IST)