Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઇડરના વસાઇમાં ચંદન તસ્કરોનો ત્રાસ : સુગંધીત પ્રાકૃતિક ચંદનના વૃક્ષોની ચોરીથી સ્થાનિક ખેડૂતોમાં રોષની લાગણી

સરકારી જગ્યા અને ખેડૂતની જગ્યા નક્કી કરવામાં સમસ્યા:તેમાં પણ તસ્કરો ફાવી જતા હોય છે.:વન વિભાગ અને પોલીસ બંનેના અધિકારક્ષેત્રને લઇ સમસ્યા સર્જાઈ છે

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાનો વસાઇ ગામ અને તેની આસપાસનો વિસ્તાર એટલે, કુદરતી ચંદનનો ભંડાર માનવામાં આવે છે. આ ભંડાર હવે તસ્કરોના પાપે ખતમ થવાને આરે છે. વસાઇ ગામ વિસ્તારમાં અઢળક પ્રમાણમાં કુદરતી રીતે જ ચંદનના વૃક્ષો ઉછરી રહ્યા છે. વિસ્તારમાં અનેક ચંદનના વૃક્ષો મોટા અને પાકટ થઇ ચુક્યા છે. ખેડૂતો ખેતરોની આસપાસ અને ગામનીની સીમમાં અનેક સુંગધીત ચંદનના વૃક્ષો વર્ષો થી કુદરતી રીતે જ ઉગી નિકળી છે.

ત્યાર બાદ ખેડૂતોએ તેને જતન કરીને મોટી કરી છે. આ દરમ્યાન હવે તસ્કરો ચંદનના 30-40 વર્ષ જૂના વૃક્ષોને રાત્રીના અંધકારમાં ચોરી જઇ રહ્યા છે. જેને લઇ સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે.

ખેડૂત આશિષ દેસાઇ કહે છે, અમે અત્યાર સુધી ચંદનના વૃક્ષને પરિવારના સભ્યની માફક મોટા કર્યા છે. અને હવે પળવારમાંજ અમારા આ કિંમતી વૃક્ષો ચોરાઇ રહ્યા છે. વિસ્તારમાં કુદરતી ચંદન ઉછરે છે, જે ખૂબ જ સુંગંધીત છે.

તો વળી છેલ્લા કેટલાક વર્ષમાં વિસ્તારમાંથી 100 થી વધુ ચંદનના વૃક્ષોની ચોરી થઇ ચુકી છે. ખૂબજ મોંઘા દાટ ચંદનના વૃક્ષોને જોવામાં આવે તો એક કરોડ થી વધુની કિંમતના ખાનગી જગ્યામા કુદરતી રીતે ઉછરેલ ચંદનની ચોરી થઇ છે. તો સરકારી જગ્યામાં ઉછરેલ ચંદનના તો જાણે કોઇ માલીક નથી, કે તેની ફરિયાદ કરી શકે. તો વળી ફરિયાદ કરવામાં પણ સરકારી જગ્યા અને ખેડૂતની જગ્યા નક્કી કરવામાં સમસ્યા નડે છે. અને તેમાં પણ તસ્કરો ફાવી જતા હોય છે. કારણ કે વન વિભાગ અને પોલીસ બંનેના અધિકારક્ષેત્રને લઇ સમસ્યા સર્જાતી હોય છે.

વસાઇ ગામના સરપંચ, નરેશ દેસાઇ કહે છે, અમારા વિસ્તારમાં હાલના કેટલાક વર્ષમાં એક કરોડ થી વધુના ચંદન અમે ગુમાવ્યા છે. તો 100 કરતા વધુ વૃક્ષો ચોરી થઇ ચુક્યા છે. આમ આ તસ્કરી અટકાવવા માટે અનેકવાર રજૂઆત કરી છે. જોકે મામલો વન વિભાગ અને પોલીસ વચ્ચે પણ અનેક વાર અટવાઇ પડે છે.

બે દિવસમાં જ બીજી ઘટના બની છે. વસાઇ ગામમાં એક ખેડૂતના ખેતર પાસેથી વિશાળ ચંદનનુ વૃક્ષ ચોરી થયુ હતુ. ત્યાર બાદ સોમવાર રાત્રી દરમ્યાન વધુ ત્રણ ઝાડ ચોરી થઇ ચુક્યા છે. આમ કુલ 5 ચંદનના વૃક્ષો રાત્રી દરમ્યાન વારાફરતી તસ્કરો કાપી લઇ ગયા છે. ઘટનાને લઇને સ્થાનિક ખેડૂતોએ ઇડર પોલીસ મથકે આ અંગે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પણ તસ્કરોને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

 શકમંદોની યાદી ગુજરાત ભરમાં ચંદન ચોરીમાં સંકળાયેલા હોય તેમને ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરી છે. આમ ચંદન ચોરોને ઝડપી લેવા માટે કમર કસવી જરુરી થઇ પડી છે. કારણ કે પોલીસને પણ ચંદન ચોરો, એક કાપડને બેનર સ્વરુપ ચોરીના સ્થળે લટકાવીને કહેતા ગયા છે કે, ‘હમ નહી સુધરંગે’. આમ પોલીસે પણ હવે આ ચંદન ચોરોને સુધારવા માટે નો પડકાર જાણે હવે ઝીલી લીધો છે.

ઇડર DySP દિનેશસિંહ ચૌહાણ એ કહ્યુ હતુ, આ અંગે અમે તપાસ શરુ કરી દીધી છે. જુદી જુદી ટીમો મારફતે ચંદન તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. તસ્કરોએ આધુનિક કટર થી ઝાડ કાપી ચોરી કરી રહ્યા છે. જેને લઇ તેમની મોડસ ઓપરેન્ડી દ્વારા તપાસ હાથ ધરી છે. રાજસ્થાનમાં પણ આવા તસ્કરોની ગેંગને લઇ તપાસ કરી રહ્યા છીએ.

(12:31 am IST)