Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પાર્ટીમાં પ્રવેશતા જ બાવળિયાને પ્રધાન પદ ! : ભાજપમાં નારાજ ધારાસભ્યોને દિલ્હી જઈને રજૂઆત કરવા કહેવાયું

અમદાવાદ :કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતાની સાથે જ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને પ્રધાન પદ આપી દેવામાં આવતા ભાજપના અસંખ્ય ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે આ અંગે રજુઆત કરવામાં આવતા પ્રદેશ ભાજપના નેતાઓ તરફથી નારાજ ધારાસભ્યોને દિલ્હીમાં જઈને રજુઆત કરવાનું કહેવામાં આવ્યું છે.

    બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવતા ધારાસભ્યોની સાથે સાથે રાજ્ય કક્ષાના પ્રધાનો પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જેમાં મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ વધારે નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્યો એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ પક્ષ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે અને આયાતી ધારાસભ્યને સીધા જ કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવે છે.

  બીજી તરફ પ્રદેશ નેતાઓ તરફથી નારાજ ધારાસભ્યો અને પ્રધાનોને મીડિયા ફોરમને બદલે પાર્ટી ફોરમમાં રજુઆત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે કુંવરજી બાવળિયા અંગેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવ્યો છે. આથી જેમને રજુઆત કરવી હોય તેમને અમિત શાહ સમક્ષ રજુઆત કરવાનું કહેવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં નારાજ ધારાસભ્યો દિલ્હીમાં જઈને અમિત શાહને મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ 11 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ 12 વાગ્યાની આસપાસ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. સાંજે ચાર વાગ્યે તેમને રાજ્યપાલે મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ રીતે કુંવરજી બાવળિયાને માત્ર ચાર કલાકમાં જ મંત્રી પદ મળી ગયું હતું.

(7:42 pm IST)