અમદાવાદ : રાજ્યના પોલીસ અધિકારી કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનોની આરોગ્ય ચકાસણી અંગેની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યની વિકાસયાત્રામાં સૌથી મહત્વનો ફાળો રાજ્યમાં જળવાઇ રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો છે. પોલીસ દિવસ-રાત જોયા વિના કે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે ખડેપગે રહી છે ત્યારે આ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે અને તેમના માટે આરોગ્ય ચકાસણી કેમ્પ નિદાન અને શ્રેષ્ઠ સારવાર સુધીની વ્યવસ્થા ગોઠવી આપી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીતભાઇ શાહ ગુજરાતના ગૃહ મંત્રી હતા ત્યારે ઓક્ટોબર 2004થી રાજ્યના પોલીસ અને તેમના પરિવારજનોની ચિંતા કરીને તેમના આરોગ્ય ચકાસણીની સમગ્ર વ્યવસ્થા ગુજરાતમાં શરૂ કરી હતી ત્યારથી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિકારી-કર્મચારી અને તેમના પરિવારના સભ્યોના સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જે માટે તેઓને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરી સામાન્ય લક્ષણો ધરાવતા રોગો જેવા કે તાવ-શરદી-ખાંસી,આંખ, કાન,નાક, ગળાના સામાન્ય રોગો,બ્લડ પ્રેશર,ડાયાબીટીશ,લો હિમોગ્લોબીન,હાઇપર ટેન્શન,થાઈરોઈડ વગેરેનું સ્થળ પર નિદાન કરી જરૂરી સારવાર અને સલાહ આપવામાં આવે છે.જરૂર જણાયે તબીબી પરીક્ષણ માટે લેબોરેટરી માં પણ વિવિધ પ્રકારના ટેસ્ટ માટે રીફર કરવામાં આવે છે.
મેદસ્વીતા માં ઘટાડો એટલે કે વજન ઘટાડવા કે નિયંત્રણમાં રાખવા માટે “ફેટ ફ્રી ડાયટ પ્લાન” તેમજ શરીરમાં વિટામીનોની ખામી જણાય તો “હાઈપ્રોટીન ડાયટ પ્લાન”નું સૂચન કરવામાં આવે છે.
HIV,મગજની બિમારી, કીડની કે લીવરની બિમારી,હૃદય રોગ, ટી.બી, કેન્સર જેવી ગંભીર બિમારી જણાતા રોગોના લક્ષણો જણાઇ આવતા તેઓને વધુ તપાસણી અને સારવાર માટે રાજ્યની સરકારી તેમજ સરકાર માન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.કેટલાક વિશિષ્ટ રોગો કે જેની સારવાર માટે રાજ્ય બહારની હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી પરિસ્થિતિ હોય તો સરકાર કક્ષાએ મંજુરી મેળવી સારવાર માટે મોકલી આપવામાં આવે છે.
જીવલેણ ગંભીર રોગ જેવા કે, ટી.બી.,કેન્સર,ફેફસાની બિમારી, કિડની, લીવર,હૃદય રોગ, મગજના રોગો, અકસ્માતની સારવાર વગેરે માટે જરૂર જણાય તો પોલીસ વેલ્ફેર ફંડમાંથી મહત્તમ રૂ.૧૦ લાખની લોન પણ આપવામાં આવે છે.
વેલ્ફેર ફંડની જોગવાઇઓ મુજબ પ્રથમ અને બીજા વર્ષ માટે કોઇ વ્યાજ વસુલ કરવામાં આવતુ નથી. ત્યારબાદ પાંચ ટકાના રાહત દરે લોનની બાકી રકમ ઉપર વ્યાજ વસુલ કરવામાં આવે છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે પોલીસ ખાતાના અધિકારી કર્મચારીઓ સતત તણાવ ભરી સ્થિતિમાં નોકરી કરતા હોય છે ત્યારે તેમની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકાર તેટલી જ જાગૃત છે. તેમના ક્લિનિકલ. એકઝામિનેશન કરી કોઈપણ રોગ જણાય તો તેની નોંધણી કરી ટેકનોલોજીકલ અપગ્રેડેશન થકી ઇ-ગુજકોપમાં તે તમામની નિયમિત આરોગ્યલક્ષી સમિક્ષા કરવામાં આવે છે. એટલું જ નહીં પોલીસ અધિકારી-કર્મચારીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ હોવાથી તેને નિયંત્રિત કરવા ફેટ ફ્રી ડાયટ પ્લાન પણ આપવામાં આવે છે.
પોલીસ કર્મચારીઓના આરોગ્ય તપાસણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રી જાડેજાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં SRPF જૂથ-12 ગાંધીનગરના તાબા હેઠળના 6064 અધિકારી કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. જે પૈકી ૨૦૧૯-૨૦માં ૩૯ અને ૨૦૨૦-૨૧માં ૩૭ લોકોને ગંભીર બિમારીનું નિદાન થયેલ તે લોકોની સમયસર સારવાર કરી શકાઇ છે અને તેમનું મહામુલું જીવન બચાવી શકાયેલ છે.