Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જૂની છાપને ભૂસી નાખવા ભાજપ નવી નીતિઓ સાથે મેદાનમાં...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીત સાથે વિધાનસભામાં ચોકો જમાવવાનો માર્ગ મોકળો બનશે : તજજ્ઞો એવું પણ કહે છે જો જુના આગેવાનો- કાર્યકરો નિષ્ક્રીય બની જાય તો ભાજપને નુકસાન પણ થઈ શકેઃ વિપક્ષોનો કટાક્ષ ગુજરાત હોય કે રાષ્ટ્રીય રાજકારણ ભાજપમાં વંશવાદ ચાલે જ છે, પક્ષમાં લોકોનો અવાજ દબાવવા આ હથિયાર ઉગામવું પડે એ ભાજપનું કમ્પલઝન

અમદાવાદઃ ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં આગામી ચૂંટણીમાં નસીબ અજમાવવા માટે ટિકિટ મેળવવા માટે ભારે ખેચતાણ જોવા મળી રહી છે. ભાજપની મળેલ પાર્લામેન્ટ બોર્ડમાં ઉમેદવારોના નામ ઉપર મહોર લાગી ગયું છે. આજે મોડી સાંજ સુધીમાં નામ જાહેર થઈ જશે.

ટિકિટ મેળવવા માટે ભલામણોના વરસાદ અને ગળાકાપ હરિફાઈ વચ્ચે ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી પક્ષની ટિકિટ મેળવીને ચૂંટાઈ આવતા, ૬૦- વર્ષથી વધુ વયના અને ચૂંટાયેલા પ્રતિનિધિનાં સગાંને ટિકિટ ન ફાળવવાની નીતિ અપનાવાઈ છે. ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોએ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં  ભારે ચર્ચા જગાવી છે.

રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે આ નીતિ ઘડવા પાછળનું મુખ્ય કારણ ભાજપ પોતાની જૂની છાપને ફરી ઉપસાવવા માગે છે. ૧૯૯૫માં ભાજપ પહેલીવાર સત્તા પર આવ્યો આવી હતી કે તે કોંગ્રેસથી અલગ છે. અહીં વંશવાદ નથી, ભ્રષ્ટાચાર નથી, નવા વિચારોને અવકાશ છે, પરંતુ સમય જતા આ બદલાઈ ગયું છે. ભાજપ કોંગ્રેસમુકત થવાને બદલે કોંગ્રેસમય થવા લાગ્યો છે. ત્યારે આ મિનિ વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છાપ બદલવી જરૂરી છે. એટલે જ ભાજપે ત્રણ ટર્મથી વધારે ચૂંટણી લડેલા લોકોને ટિકિટ નહીં અપાય અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરાયો હોવાનો વિશેષજ્ઞોનો મત છે.

વિધાનસભામાં ૯૯ પર અટકયા પછી ત્રણ વર્ષમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોની સંખ્યા વધારે છે. આ સંજોગોમાં પાર્ટીનું પ્રમુખપદ સાંભળ્યા પછી સી. આર. પાટીલ બોલ્યા હતા કે નવા કૉંગ્રેસી નહીં આવે, પણ કોંગ્રેસ તોડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. આ સંજોગોમાં એમનો આ નિર્ણય કેટલો અસરકારક રહેશે એ એક સવાલ છે.

ભાજપ કોંગ્રેસની ટીકા કરે છે પણ વંશવાદમાં એ પણ માને જ છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો ગુજરાતના હિતુ કનોડિયા, ભૂષણ ભટ્ટથી માંડીને ઘણા એવા ધારાસભ્યો છે કે જેઓ દીકરાઓને બાપનો વારસો મળ્યો હોવાના પુરાવા છે.

પક્ષમાં વંશવાદને જાકારો આપવામાં ભાજપ સફળ રહેશે કે નિષ્ફળ સાબિત થશે, જો આનો કડકાઈથી અમલ કરવા જશે તો વિપરીત સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વધુ છે. કારણ કે એક વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવતા કોર્પોરેટર અને જિલ્લા-તાલુકાના પ્રમુખો વિધાનસભાની જીત ના પાયા ગણાય છે. અને જોક આ નિયમ આવે તો વિધાનસભામાં પણ જીતવું અઘરૃંં પડે. કારણ કે જૂના લોકો નિષ્ક્રિય થઈ જાય તો ભાજપને નુકસાન થઈ શકે છે.

દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપને બેઠો કરવામાં જેમનો મોટો ફાળો રહ્યો છે એવા શંકરસિંહ વાઘેલાએ કહ્યું  હતુ કે ભાજપની એક અલગ ઓળખ હતી જે તેણે પોતાની વહાલાંદવલાંની નીતિમાં ગુમાવી દીધી છે. ભાજપ પોતાના સ્કોર સેટલ કરવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે પણ એ ભારે પડશે. કારણ કે વિધાનસભા કે લોકસભાની બેઠક જીતવી હોય તો એ કોર્પોરેટર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોના સંબંધોના આધારે જિતાય છે. નવાનિશાળિયાને આધારે ના જિતાય.

તેઓ જણાવે છે કે, ચૂંટણી જીતવા માટે જમીન થી જોડાયેલા કાર્યકરોની જરૂર પડે છે એટલે એમણે કૉંગ્રેસના મજબૂત લોકોને પાર્ટી માં લેવાનું શરૂ કર્યું હતું . રહી વાત વંશવાદની તો ભાજપ માં વંશવાદ ક્યાં નથી ? હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી, નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાને ટિકિટ આપવી , વિઠ્ઠલ રાદડિયા અને એમના દીકરા જયેશ રાદડિયાને ટિકિટ આપવી કે અશોક ભટ્ટના દીકરા ભૂષણ ભટ્ટ ને રાજકારણમાં ટિકિટ આપવી એ વંશવાદ નથી તો શું છે?

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે આ જ કર્યું છે . પણ પોતાના અંગત માણસોને ગોઠવી ભાજપમાં મજબૂત સ્થાન ધરાવતા લોકોની પાંખો કાપવા માટે આ પગલું ભરાઈ રહ્યું છે. એટલે નવા કોર્પોરેટર અને નવા જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો હોય તો સિનિયર ધારાસભ્યો ની પાંખો કપાઈ જાય, કારણકે એમની જીતનો મદાર એમના પર જ રહેલો છે. આપોઆપ એમના પર કાબૂ મેળવી શકાય , એટલે આ પગલું ભર્યું છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૬૦ વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને તેમજ ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતાં લોકોને ઉમેદવાર ન બનાવવાની ભાજપની જાહેરાતને તેઓ સમજી-વિચારીને ઘડાયેલું કાવતરૂ ગણાવે છે. તેઓ કહે છે કે, ૅત્રણ ટર્મવાળી શરતની વાત કરીએ તો સિનિયર લોકો ના હોય તો પાર્ટીમાં મનફાવે તે કરી શકાય એટલે આ જાહેરાત કરી છે. ૬૦ વર્ષ થી ઉપર નો માણસ રાજકારણ માં નહોય તો પહેલા એમને એ જોવું જોઈએ કે ખુદની ઉંમર કેટલી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉંમર કેટલી છે . આ સીધું નિશાન રાજકોટ અને મહેસાણા ઉપર છે , કારણકે આ નિર્ણયથી વિજય રૂપણીના રાજકોટમાં અસંતોષ વધશે અને માનેસનામાં નીતિન પટેલ ના ત્યાં અસંતોષ વધશે , આ સમજણ સાથે ચાલેલી ચાલ છે.

ભાજપની એવી ચાલ છે કે જે થકી તેઓ પોતાના માણસોને સેટ કરી અને સંનિષ્ઠ કાર્યકરોને દૂર કરવા માગે છે.   તેઓ ભાજપમાં રહેલા વંશવાદ પર કટાક્ષ કરતાં કહે છે કે, જો ભાજપમાં વંશવાદ ના હોત તો ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલ પટેલનાં પત્ની શારદાબહેનને સાંસદ કેમ બનાવ્યાં? સવજી કોરાટનાં પત્ની જશુમતી બહેન કોરાટ કેમ ધારાસભ્ય બનાવ્યાં? આ નિયમો પોતાના મનગમતા માણસોને સેટ કરવાનો ધંધો છે એનાથી વધુ કઈ નથી.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા કહે છે કે, ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિતને ટિકિટ નહીં આપવાની વાત કરનાર સી.આર. પાટીલે પોતાની ઉંમર જોવાની જરૂર છે. ભાજપે વંશવાદની વાત કહેવી પડે એ શરમજનક છે, વાસ્તવમાં ભાજપના લોકો પોતાના સંનિષ્ઠ કાર્યકરોને તડકે મૂકી પૈસાદાર, ભ્રષ્ટ અને ખરાબ છબીવાળા લોકોને પોતાની સાથે લાવવા માંગે છે. હું વધુ નહીં કહું પણ એટલું કહીશ કે સી.આર. પાટીલ પોતાના જેવા માણસોને ભાજપમાં હોદ્દા પર લાવી સેવાના નામે મેવો કેવી રીતે ખવાય એવો નવો ચીલો ચાતરવા માંગે છે.

બીજી તરફ એન.સી.પી.ના ગુજરાતના પ્રદેશપ્રમુખ જયંત બોસ્કીએ વાતચીતમાં કહ્યું કે, ભાજપના લોકો અમારાથી ડરી રહ્યા છે કારણકે એન.સી.પી.એ ૪૦થી ૪૫ વર્ષના ઉમેદવારોને ટિકિટ આપી છે. અને એમના લોકો કોરોનાકાળમાં ઘરમાં બેઠા રહ્યા અને લોકોની વચ્ચે અમારા જેવા યુવા નેતા ગયા એના કારણે હવે તેઓ યુવા નેતાની વાતો કરે છે. તેમજ ભાજપને વંશવાદ માટે બોલવાનો કોઈ અધિકાર નથી સંસદ અને વિધાનસભામાં એમણે વંશવાદ જ ચલાવ્યો છે.

ગુજરાતમાં પોતાની જાતને વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આ વખત ચૂંટણીજંગમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમના મહામંત્રી આર.સી.પટેલે કહ્યું કે અમારી સાથે ભારે સંખ્યામાં યુવાનો જોડાયા છે , તેમજ બુદ્ધિજીવી વર્ગ આપમાં આવ્યો છે. ત્યારે અમારામાંથી ઘણા લોકો ભાજપને સવાલ કરે છે કે જો ભાજપમાં વંશવાદ છે તો ત્રીજા વિકલ્પ તરીકે આપ કેમ નહીં. ભાજપ અમારાથી ડરીને આ વંશવાદનું હથિયાર લઈને બહાર નીકળ્યો છે.

તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેકટર અને જાણીતા સેફોલોજિસ્ટ એમ.આઈ. ખાન આ મુદ્દે પોતાનું વિશ્લેષણ મૂકતાં કહે છે કે, ભાજપમાં કોંંગ્રેસમાંથી આવેલા ઘણા લોકો છે ત્રણ વર્ષમાં આવા લોકોની સંખ્યા વધી ગઈ છે, આ લોકો સિનિયર છે અને પોતાના સગાં અને ઓળખીતાને ટિકિટ અપાવવા માંગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપે આ હથિયાર ઉગામવું પડ્યું છે.

ગુજરાત હોય કે રાષ્ટ્રીય રાજકારણ ભાજપમાં વંશવાદ ચાલે જ છે. પક્ષની અંદરના લોકોનો અવાજ દબાવવા માટે આ હથિયાર ઉગામવું પડે એ ભાજપનું કમ્પલઝન છે, નહીંતર આંતરિક અસંતોષ ડામવો અઘરો છે.

તેઓ આ પગલાની સફળતાની અનિશ્ચિતતા તરફ ધ્યાન દોરતાં જણાવે છે કે, પણ આ પ્રયોગ કેટલો સફળ જાય છે એ કહેવું મુશ્કેલ છે કારણકે વિધાનસભા અને લોકસભાની બેઠક જીતવી કૉર્પોરેટર અને તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના સમર્થન વગર શક્ય નથી, એટલે ધારાસભ્યો અને સંસદસભ્યો તેમને આ નિર્ણયમાં કેટલા સફળ થવા દે છે એ એક સવાલ છે.(નવગુજરાત સમયમાંથી સાભાર)

(1:11 am IST)