Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પક્ષ છોડી ગયેલ આશાબેનને મનાવવા માટે કોંગ્રેસના પ્રયાસ

ધાનાણીની ટવીટ્ કરી પાછા ફરવાની આશા : આશાબહેનને ભાજપમાં જતા અટકાવવા પાટીદાર લીડરોે મેદાનમાં : નરેન્દ્ર પટેલનો ૨૦ કરોડમાં સોદાની ચર્ચાઓ

અમદાવાદ,તા.૩ : લોકસભા ૨૦૧૯ ચૂંટણી પહેલાં જ ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના રાજીનામાને પગલે ગુજરાત કોંગ્રેસથી લઇ હાઇકમાન્ડ સુધી ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેને લઇ હવે કોંગ્રેસે નારાજ આશાબહેન પટેલને મનાવવાના મરણિયા પ્રયાસો આદર્યા છે. ખાસ કરીને આશાબહેનને કોઇપણ સંજોગોમાં ભાજપમાં જતા રોકવા માટે હવે પાટીદાર નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો વળી ટવીટ્ કરી હજુ પણ આશાબહેન પટેલ પક્ષમાં પરત ફરશે તેવી આશા વ્યકત કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ્ કરી આશા સેવી છે કે, અમને વિશ્વાસ છે કે આશાબેન પરત ફરશે.સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન, રણચંડીના રૂપ સમાન આશાપુરા ઉપર મને હજુય આશા છે.., જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નીવડે એવી અપેક્ષા.! આમ, વિપક્ષના નેતા ધાનાણીના ટવીટ્ને પગલે કોંગ્રેસ હજુય આશાબહેનને પરત ફરવા મનામણાં કરી રહ્યું છે તે સ્પષ્ટ થઇ ગયું છે. તો આશાબહેન પટેલના રાજીનામાને લઈ ગુજરાત કોંગ્રેસ મંત્રી નરેન્દ્ર પટેલે ગંભીર આરોપ લગાવ્યા હતો કે, આશાબહેને ૨૦થી ૨૨ કરોડ રૂપિયા લઈ ભાજપ સાથે સોદો કર્યો છે અને કોંગ્રેસ તથા પાટીદારો સાથે ગદ્દારી કરી છે. આશાબેનના કોંગ્રેસમાંથી રાજીનામાથી બેનને વિધાનસભા ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા વંદના પટેલે જણાવ્યું કે આશાબેને ભાજપ સાથે આર્થિક વ્યવહાર કરી કોંગ્રેસ છોડ્યું છે. આ ઉપરાંત બેનનું સીધું ધ્યાન ભાજપ શાસિત ઉંઝા એપીએમસી પર છે. વધુમાં આશાબેન અને ભાજપના દિનેશ પટેલના સંબંધો લોકલ રાજનીતિમાં પૂર્વ ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલનું કદ ઘટાડશે. નારાયણ પટેલે આશાબેનને ભાજપમાં ન આવવા દેવા દિલ્હી જઈ બેનના મોડેલિંગ ફોટો પણ બતાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આમ, હવે આશાબહેન પટેલને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણનું રાજકારણ ફરીવાર ગરમાયું છે.

 

 

 

(9:19 pm IST)