Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તેલાવ ખાતે ૭ જાન્યુઆરીથી આત્મીય યુવા મહોત્સવ શરૂ

હરિપ્રસાદ સ્વામીજીના ૮૪મા પ્રાગટયદિન નિમિતેઃ દેશ-વિદેશમાંથી બે લાખથી વધુ યુવા ભાગ લેવા આવશે રૂપાણી, નીતિન પટેલ, જેટલી સહિત મહાનુભાવો આવશે

અમદાવાદ,તા. ૪, ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના વર્તમાન જયોર્તિધર અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીજીના ૮૪માં પ્રાગટ્ય દિન નિમિતે આત્મીય સમાજ દ્વારા તા.૭મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરખેજ-સાણંદ રોડ પર તેલાવ ખાતે ભવ્ય આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાંથી બે લાખથી વધુ યુવાઓ ભાગ લેવા આવવાના છે. આ ભવ્ય આત્મીય યુવા મહોત્સવમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી, ભારતમાતા મંદિરના અધિષ્ઠાતા પૂ.સત્યમિત્રાનંદજી, અનુપમ મીશન-મોગરીના અધિષ્ઠાતા પૂ.જસભાઇ, પૂ.અક્ષરવિહારી સ્વામી(સાંકરદા) સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે. આ આત્મીય યુવા મહોત્સવમાં ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, જર્મની, સ્વીત્ઝરલેન્ડ, પોલેન્ડ, સીંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ, કેન્યા, યુએઇ સહિતના દેશોમાંથી બે લાખથી યુવાનો ઉમટવાના છે. બહારના ૧૪ દેશોમાંથી બે હજારથી વધુ યુવકો ખાસ આ મહોત્સવ માટે અમદાવાદ આવવાના છે એમ અત્રે પૂજય ત્યાગ વલ્લભસ્વામી અને પૂ.ગુરૂપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું. દર વર્ષે હરિપ્રદાસ સ્વામીજીનું પ્રાગટ્ય જુદા જુદા શહેરોમાં ઉજવાય છે અને આ વર્ષે આત્મીય સમાજના આ ભવ્ય આત્મીય યુવા મહોત્સવનું અમદાવાદ  શહેરના તેલાવ ખાતે આયોજન કરાયું છે. આ અંગે પૂજય ત્યાગ વલ્લભસ્વામી અને પૂ.ગુરૂપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં સંસ્કારનું સિંચન થાય અને તેઓમાં તમામ સદ્ગુણો કેળવાય અને તેમના થકી સમાજ, રાજય અને રાષ્ટ્ર સંસ્કૃતિસભર, સંસ્કારી અને પરમ વૈભવના શિખર સુધી પહોંચી શકે તેવા ઉમદા આશયથી આ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના કેન્દ્રમાં યુવાનો જ છે. કારણ કે, સ્વામીજી માને છે કે, જો યુવાનો બચશે તો, દેશ બચશે. સંસ્કૃતિના સંસ્કારો બચશે. ભારતને તેની આર્થિક સધ્ધરતા નહી પરંતુ પવિત્રતા, પ્રમાણિકતા, આત્મીય અને વિવેકી યુવાનો ફરી એકવાર પરમ વૈભવના શિખરે પહોંચાડશે. પૂ.હરિપ્રસાદ સ્વામી મહારાજે શિક્ષણ અને સંસ્કારનો સમન્વય થાય તેવા વિદ્યાતીર્થોનું પણ નિર્માણ કરાવ્યું છે, તેમાં શહેરના નિર્ણયનગર પાસે અર્જુનઆશ્રમ રોડ પર આવેલ આત્મીય વિદ્યાનિકેતનનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવા મહોત્સવ વાસ્તવમાં લોકશિક્ષણની પાઠશાળા બની જતા હોય છે. હજારો-લાખો યુવાનોનું જીવન પરિવર્તન પામ્યુ છે અને તે આદર્શ જીવન મારફતે ઉત્કૃષ્ટ સમાજ અને રાષ્ટ્રની પરંપરાને ચરિતાર્થ શકય બનાવ્યું છે.

આ પ્રસંગે પ્રેમસ્વરૂપ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને બાબુભાઇ પટેલ, પરિન્દુ ભગત(કાકુભાઇ) સહિતના મહાનુભાવોએ સમગ્ર ગુજરાતની જનતાને આ ભવ્ય આત્મીય યુવા મહોત્સવમાં તા.૭મી જાન્યુઆરીએ પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

(9:59 pm IST)