Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

અમદાવાદનાંએચ.એ કોલેજમાં સેમેસ્ટર-1ના વિધ્યાર્થીઓ એ લેકચર પૂર્ણ થયા બાદ ‘ જયશ્રી રામ ’ ના નારા લગાવતા વિવાદ : એ.બી.વિ.પિ. એ આક્રોશ ઠાલવ્યો

પ્રિન્સિપાલે ન્યૂસેન્સ ફેલાવી રહયાનું કહીને છાત્રો પાસે માફી પત્ર લખાવ્યું

અમદાવાદ: અમદાવાદમાં કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીઓએ ક્લાસ રૂમમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કોલેજમાં વિવાદ વકરતાં જ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હતો. ત્યારે આ મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરીને વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદની એચ.એ. કોલેજમાં બે દિવસ પહેલાં સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂર્ણ થયા બાદ જય શ્રી રામના નારા લગાવી રહ્યાં હતાં. નારા ચાલુ હતાં ત્યારે એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતાં. ત્યારે નારા લગાવનાર પાંચ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યાં હતાં. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મુદ્દે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તમે ન્યૂસન્સ ફેલાવી રહ્યાં છો. જેથી માફી પત્ર આપો નહીં તો કોલેજમાંથી રસ્ટીકેટ કરી દેવામાં આવશે. જેથી પાંચ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને માફીપત્ર લખી આપ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફી પત્રમાં લખાવ્યું હતું કે, અમે વર્ગખંડમાં જયશ્રી રામ બોલીને ગેરવર્તન કર્યું છે. અમે જય શ્રી રામ બોલ્યા જેથી વર્ગખંડમાં તકલીફ થઈ છે. જેથી અમે માફી માંગીએ છીએ. આ પત્ર લખાવીને ફરીથી વર્ગમાં જય શ્રી રામના નારા લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ABVPએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા ABVPએ માફી પત્ર લખાવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો. જોકે બાદમાં પ્રિન્સિપાલે વિરોધને દાબવા માટે ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ABVPના GLS યુનિવર્સિટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે, ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફી પત્ર લખાવે તે ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે.

ગુજરાતમાં જય શ્રી રામનો ઉપયોગ રાજકારણીઓ પોતાના ફાયદા માટે સૌથી વધારે કરે છે. જોકે, હવે ગુજરાતના રાજકારણે ગુજરાતની નવી પેઢીના મનમાં જય શ્રી રામને ખુબ જ બરાબર રીતે ફિટ કરી દીધા છે.  આજે જ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ગાંધીજી જય શ્રી રામના નારા લગાવતા નહતા, તેઓ હે રામ કહેતા હતા. જોકે, અત્યારનું રાજકારણ યુવા પેઢીમાં આક્રમકતા લાવવા માટે જય શ્રી રામના નારાઓને તેના મનમાં ભરી રહી છે.

રાહુલ ગાંધી અનુસાર ભગવાન રામ જીવન જીવવાની એક રીત હતા. જોકે, વર્તમાનમાં હિંસા કરતી વખતે અને ભય ફેલાવવા માટે જય શ્રી રામ નારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  હવે શાળા-કોલેજ એટલે કે વિદ્યા સરસ્વતી દેવીનું ધામ ગણાય, જ્યાં જ્ઞાન મેળવવા માટે શિષ્ટાચાર સાથે રહેવું જોઈએ. જો ભગવાનને યાદ કરવા છે, તો પણ જ્યારે તમારા શિક્ષણ ભણાવી રહ્યાં ના હોય તેવા સમયે તમે મનમાં રામ નામનું જપ કરી શકો છો.  પરંતુ ખુબ જ ઉંચા અવાજે જય શ્રીરામના નારા લગાવીને દહેશત ફેલાવો તે કેટલા અંશે યોગ્ય ગણાશે?

(8:28 pm IST)