Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મુદ્દે મોટો ખુલાસો: પ્રેમમાં આડખીલી રૂપ દીકરીની ક્રૂર હત્યા

મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો: માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી:ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. આ મામલે મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુરમાં રહેતી હતી. માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી હતી. ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે.

માતાને થયો 34 વર્ષીય યુવાન સાથે પ્રેમ થયો અને પ્રેમમાં અંધ બનેલી એક દીકરીની માતાએ પોતાની યુવાન દીકરી સામે જ પ્રેમી સાથે પ્રણયમાં રાચવા લાગી હતી. જોકે માતાની આ પ્રેમલીલાનો દીકરીએ વિરોધ કર્યો હતો અને દીકરીના વિરોધની વાત પ્રેમીને કહી હતી. પ્રેમીએ પોતાના પ્રેમમાં આડખીલી રૂપ દીકરીની ક્રૂર હત્યા નિપજાવી દીધી. જો કે મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવકને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધો છે. મહેસાણા પોલીસને 30 નવેમ્બરના રોજ અર્ધ બળેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળ્યો હતો અને તપાસમાં તેની હત્યા માતાના જ પ્રેમીએ કર્યું હોવાનું ખુલ્યું છે.

માતાના પ્રેમના ચક્કરમાં એક નિર્દોષ કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો છે. પ્રેમ આંધળો હોય એ તો આપણે જોયું પણ છે અને સાંભળ્યું પણ છે પણ પ્રેમ કરે કોઈ અને સજા ભોગવે કોઈ બીજું. જીહા સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટ નામની એક 17 વર્ષીય કિશોરીને માતાના પ્રેમના ચક્કરમાં જીવ ખોવો પડ્યો છે. મહેસાણા પોલીસને ગત તારીખ 30 નવેમ્બરના રોજ અર્ધ બળેલી હાલતમાં એક અજાણી કિશોરીની લાશ મળી હતી. અને લાશની ઓળખ વિધિ દરમિયાન આ લાશ સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટની હોવાનું ખુલ્યું હતું. પોલિસે ભૂમિ જાટની વિગત મેળવતા તે છેલ્લે તેની માતાના પ્રેમી પરેશ જોશી સાથે જોવા મળી હોવાની માહિતી મળી. પોલીસને પરેશની વર્તણુક ઉપર શંકા ઉપજી અને કડક પૂછપરછમાં પરેશ જોશી ભાગી પડ્યો હતો.

હત્યા કરી સળગાવી દેવાયેલી કિશોરી અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા ખાતે રહેતો હતો. તે વખતે આ પરિવારની પાડોશમાં રહેતો પરેશ જોશી નામનો 34 વર્ષીય વ્યક્તિ કિશોરીની માતા કામિની જાટના સંપર્કમાં આવ્યો હતો. અને તે દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી વચ્ચે પ્રેમ સંબધ બંધાયો હતો. દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી સિદ્ધપુર ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા. અને કિશોરી ભૂમિ પણ તેમની સાથે સિદ્ધપુર રહેવા આવી હતી. પણ પહેલેથી પોતાની માતાના પ્રેમનો વિરોધ કરતી ભૂમિને માતાના રંગ રેલિયા પસંદ ન હોવાથી તે સતત વિરોધ કરતી હતી. આ વિરોધને કારણે પરેશ જોશીએ ભૂમિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અને યોજના મુજબ 29 નવેમ્બરના રોજ પરેશ ભૂમિને લઈને મહેસાણા ફરવા માટે આવ્યો હતો. જ્યાં નુગર ગામ પાસે ભૂમિના માથામાં હથોડા ઝીંકી દઈ મોત નિપજાવી લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ પરેશ એકલો સિદ્ધપુર આવી ગયો હતો. અને ભૂમિને સિદ્ધપુર ચોકડી ઉપર ઉતાર્યા બાદ ઘરે પરત નહીં આવી હોવાની કહાની ઉભી કરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ માટે પહોંચ્યો હતો. પણ પોલીસની પૂછપરછમાં પરેશનો ભાંડો ફૂટી ગયો હતો.

(9:49 pm IST)