Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાવાઝોડું 'જવાદ' અસરરૂપે ગુજરાતના દરિયાકાંઠે ૪૫ થી ૫૫ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે

માછીમારોને ૬ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સુચનાઃ તંત્ર એલર્ટ

રાજકોટ,તા.૩: હવામાન વિભાગ દ્વારા ' જવાદ' વાવાઝોડાને  અંગે કહ્યું છે કે ૪૫થી ૫૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ૨થી ૬ ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં રહેલી તમામ બોટોને પણ પરત આવવા સૂચના પણ અપાઈ છે.

બંગાળની ખાડીમાં બની રહેલા દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે ૪ ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ વાવાઝોડાને 'જવાદ' નામ આપવામાં આવ્યું છે.આ વાવાઝોડાની અસર થોડા સમય બાદ ગુજરાતમાં જોવા મળશે.'જવાદ' વાવાઝોડાના અસરના ભાગરૂપે ગુજરાતના માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે હવામાન વિભાગે આજથી ૪ દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે જેના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.ગુજરાતમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ૨ દિવસથી સુરતમાં વરસાદ અને ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે.

(2:53 pm IST)