Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વીમા કંપનીનો અજબ નિર્ણય

કોરોનાના ગંભીર લક્ષણો નથી તો કલેમની રકમ ન મળે

કોરોના માટે ખાસ વીમો ઉતરાવ્યો હતો તેમ છતા વીમા કંપનીએ કલેમ ના મંજૂર કર્યો પરંતુ જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશને વીમા કંપનીને પૂરેપૂરૂ વળતર ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદ, તા.૩: ગુજરાતના પાટણ શહેરમાં ત્રણ વ્યકિતઓએ વીમા કંપની વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. મળતી વિગત મુજબ આ ત્રણેય વ્યકિતઓએ કોરોના સંક્રમણ માટે ખાસ વીમો ઉતરાવ્યો હતો જોકે તેમ છતાં વીમા કંપનીએ તેમની કોરોનાની સારવાર પેટે થયેલા ખર્ચ માટે વીમો મંજૂર કરવાની અરજી નકારી કાઢી હતી. વીમા કંપનીએ કલેમ અરજી નકારી કાઢતા કહ્યું હતું કે તેમને કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો હતા જેને ઘરે રહીને પણ સારવાર આપી શકાઈ હોત.

વીમા કંપની દ્વારા અપીલ રીજેકટ થયા બાદ ત્રણેય વ્યકિતે પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. જેનો નિકાલ કરતા પંચે ફ્યુચર જનરલી ઇન્સ્યુરન્સ કં. લિ. ને ત્રણેય અરજકર્તાને તેમના વીમાની પૂર્ણ રકમ રુ. ૧ લાખ ૮ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. આ સાથે જ ત્રણેય વ્યકિતને અનુભવાયેલી માનસિક પ્રતાડના તેમજ કાયદાકીય ખર્ચના વળતર પેટે રૂ. ૩૦૦૦ અલગથી આપવા માટે આદેશ કર્યો હતો.

પંચે ચુકાદો આપતા કહ્યું કે, 'અરજકર્તાએ કોરોનાની સારવાર માટે વીમો ઉતરાવ્યો હતો અને જો હવે વીમા કંપની આ સારવાર માટે કરવામાં આવેલા ખર્ચની રકમ ચૂકવવાથી પાછળ હટે છે તો તે ખરેખર દુઃખદ બાબત છે. કોરોના સમયમાં દર્દીઓને દ્યણીવાર તો યોગ્ય સારવાર પણ મળી નથી અને કેટલીકવાર હોસ્પિટલોએ દવાના ખર્ચાને વધારીને આકર્યો છે. તેવામાં આ સ્થિતિમાં ફરિયાદી તેના વીમાની પૂરેપૂરી રકમને મેળવવાને પાત્ર બને છે.'

ગ્રાહક સુરક્ષા પંચ સમક્ષ આ કેસ ત્રણ વ્યકિત રસિક સોલંકી(૪૧), પૂનમચંદ સોલંકી(૨૬) અને નિલેશ પ્રજાપતિ(૨૭) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે કોરોનાની સારવાર માટે ઉકત વીમા કંપનીની કોરોના રક્ષક વીમા પોલિસી ખરીદી હતી. પોલિસીની ટર્મ દરમિયાન જ ઓકટોબર ૨૦૨૦ના ત્રીજા સપ્તાહમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ ત્રણેયને ૪ દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા સાથે તેમને થોડા વધુ દિવસ માટે ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. જેને લઈને તેમણે સારવારના ખર્ચેના વળતર પેટે વીમા પોલિસી હેઠળ કલેમ કર્યો હતો. જોકે કંપનીએ કલેમને રિજેકટ કરતા વળતર ચૂકવવાની ના પાડી હતી.

ફરિયાદના આધારે જયારે કમીશને વીમા કંપની પાસેથી જવાબ માગ્યો તો તેમણે કહ્યું કે સ્ક્રુટિની દરમિયાન તેમને જણાયું કે આ ત્રણેય વ્યકિતને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો ન હતા. તેઓ ફકત હળવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયારે સરકારી ગાઈડ લાઈન કહે છે કે કોરોનાના હળવા લક્ષણો માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરુરિયાત નથી તેમને ફકત ઓરલ ટ્રિટમેન્ટની જરુરિયાત રહે છે. જયારે સોલંકી માટે વિમા કંપનીએ કહ્યું કે તેમને તો હોસ્પિટલમાં ફકત આઈસોલેશન, ઓબ્ઝર્વેશન, ઇન્વેસ્ટિગેશન કે એવેલ્યુએશન માટે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને ખૂબ જ સરળ રીતે દ્યરે રહીને પણ સારવાર કરી શકાઈ હોત.

કંપનીએ પોતાના જવાબમાં કહ્યું હતું કે 'સોલંકી કેસમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છેકે વીમા ધારક પોલિસી અંતર્ગત ખોટી રીતે લાભ લેવા માટે જ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને એવા કોઈપણ ગંભીર લક્ષણો ન હતા કે હોસ્પિટલમાં દાખલ થવું પડે ઉપરાંત ફકત ૪ જ દિવસમાં તેમને ડિસ્ચાર્જ પણ મળી ગયો જે દર્શાવે છે કે વીમા ધારક ખોટી દાનત સાથે દાવો કરી રહ્યો છે.' જયારે પ્રજાપતિના કેસમાં કંપનીએ કહ્યું કે, 'તેમના દાવાની તપાસ કરતા જણાયું કે પ્રજાપતિને એવા કોઈ ગંભીર લક્ષણો ન હતા જેને લઈને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેથી દાવો નકારી કાઢવામાં આવ્યો હતો.'

(10:19 am IST)