Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં ઘઉં-ચોખાનો જથ્‍થો સીઝ કરાયો

કાળાબજારીયા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ સતત ચાલુ રહેશેઃ જિલ્લા કલેકટર આર.આર.રાવલ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : તાજેતરમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે  જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે  બેઠક યોજી જિલ્લામાં કાળા બજાર કરતા તત્‍વોને નશ્વત કરવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી હતી.

 આ અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારી  વી.સી.બાગુલ, કપરાડા મામલતદાર કે.એસ.સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્‍ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્‍મિક ચકાસણીમાં ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રક નં. એમ .એચ .-૦૪-ઇએલ-૦૫૦૪માં ભરવામાં આવેલા ઘઉંના જથ્‍થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરાયો ન હતો

  . જેથી આ જથ્‍થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં ૮૭,૨૦૦ કિલો કિંમત રૂા.૧૩.૯૫ લાખ, ચોખા ૭,૯૫૦ કિલો કિંમત રૂા.૧.૩૫ લાખ અને ટ્રક નંબર એમ.એચ.-૦૪-ઇએલ-૦૫૦૪ની કિંમત રૂા.૪.૭૫ લાખ મળી કુલ રૂા.૨૦.૦૫ લાખનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો છે. આ  સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે. ભવિષ્‍યમાં આવા કાળાબજાર કરવાવાળા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેકટર રાવલ દ્વારા જણાવ્‍યું છે.

(10:18 pm IST)