Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભરૂચ જિલ્લામાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં, અન્ય એક મહિલાને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી

ભરૂચ જિલ્લામાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા જયાકે અન્ય એક મહિલાને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. મંગળવારે નબીપુર બ્રિજ પાસે બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જયારે આજે અંકલેશ્વર તરફ જવાના સર્વિસ રોડ ઉપર છકડો રિક્ષા પલટી ખાઈ જતા એકસ્માત સર્જાયો હતો. તો ત્રીજો અકસ્માત બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલો છકડો રિક્ષા ચાલકનો સ્ટેયરિંગ પર કાબૂ નહિ રહેતા રિક્ષા પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મીરાબેન વસાવા અને સમીમ દાઉદ શેખને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં મીરાબેન વસાવાનું સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતું.

બીજી ઘટનામાં મૂલેર-ચાંચવેલ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો ગાડીના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાજિદ મુઢીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.

ત્રીજા બનાવમાં નબીપુર બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સંજય વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(6:09 pm IST)