Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગુજરાતમાં ધનતેરસ પર ૬૫૦૦ ફોર-વ્હીલર અને ૨૪ હજાર ટુ-વ્હીલર વેચાયા

જો કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહનોનું ઓછું વેચાણ થયું હતું : ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે વાહનોનું વેચાણ ૧૦ ટકા ઓછુ થયું

મુંબઇ, તા.૩: સમગ્ર ગુજરાતમાં ધનતેરસ પર ૩૦,૫૦૦ વાહનોની ડિલિવરી થઈ હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના (એફએડીએ) અંદાજ મુજબ મંગળવારે ૬૫૦૦ ફોર-વ્હીલર સિવાય કુલ ૨૪ હજાર ટુ-વ્હીલર વાહનોની ડિલિવરી થઈ હતી. જો કે, ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉજવવામાં આવેલી ધનતેરસની સરખામણીમાં આ વર્ષે વેચાણ સરેરાશ ૧૦ ટકા ઓછું રહ્યું હતું.

'ફોર-વ્હીલરની માગ સારી છે અને અમુક બ્રાન્ડ્સે નજીવી વૃદ્ઘિ દર્શાવી છે. જો કે, સપ્લાયની અછતના કારણે તહેવારોની સીઝનમાં ગ્રાહકોની આવકમાં અવરોધ ઉભો થયો છે. હાલ, ડીલરોને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણી બધી ઓફર્સ લાવવાની પણ જરૂર નથી. તેમ છતાં તેમણે વાહનોની ડિલિવરી માટે ૨ થી ૮ મહિના રાહ જોવી પડે છે', તેમ ગુજરાત ક્ષેત્રના એફએડીએના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું.

'ગયા વર્ષે દિવાળી બાદ આવી હતી કોરોનાની પહેલી લહેર, આ વખતે ખાસ ચેતવાની જરૂર'

અમદાવાદ સ્થિત કાર ડીલરશિપના ડિરેકટર (સેલ્સ) જિનમય શાહે કહ્યું હતું કે 'અમારા વેચાણમાં સુધારો થયો છે અને એકંદરે ગ્રાહકોની ધારણા સકારાત્મક છે. જો સપ્લાયની અછત ન હોત તો અમારું વેચાણ સરળતાથી બમણું થઈ ગયું હોત. જો કે, ગ્રાહકો વિશ્વાસ રાખી રહ્યા છે કારણ કે તેમાંથી કેટલાકે ધનતેરસ પર બૂકિંગ કરાવ્યું છે'.

કાર ડીલરો સૂચવે છે કે, આગામી મહિનાઓમાં સપ્લાય સાઈડ અવરોધો યથાવત્ રહેવાની અપેક્ષા છે. હકીકતમાં, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, તેની હાલની રેગ્યુલેટરી ફાઈલિંગમાં ઉલ્લેખ કર્યો હતો કે કંપની નવેમ્બરમાં એસએમજી પ્લાન્ટ તેમજ માનેસર ખાતેની તેની સુવિધામાં વાહનના ઉત્પાદનમાં પ્રતિકૂળ અસરનો સામનો કરી રહી છે.

બીજી તરફ, ટુ-વ્હીલરના ભાવ વધ્યા હોવાથી તેમજ કોવિડ-૧૯ના કારણે શાળાઓ તેમજ કોલેજો સંપૂર્ણરીતે ફરી શરૂ ન થઈ હોવાથી ટુ-વ્હીલરની માગ વધવામાં નિષ્ફળ રહી છે. 'મોંઘા વાહનો સહિત દ્યણા પરિબળોના કારણે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછો ૧૦ ટકાનો દ્યટાડો થયો હતો', તેમ શાહે ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, દશેરા પર ૨૮,૫૦૦ની ડિલિવરીની સરખામણીમાં ધનતેરસ પર વાહનોનું વેચાણ થોડું સારું રહ્યું હતું. જો કે, ઓકટોબરના અંતમાં સપ્લાયના સુધારો થવાના કારણે આ થયું હતું.(૨૩.૩)

(10:22 am IST)