Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કોરોનાથી મોતને ભેટેલાઓના ડેથ સર્ટિફિકેટ આપવા સરકારે સમિતિ બનાવી

મૃતકના કુટુંબના સભ્યોએ અરજી કરવાની રહેશે : વિવિધ વિસ્તાર પ્રમાણે અધિકારીઓને સર્ટિફિકેટ માટે અરજી કરાશે : મૃત્યુના પ્રમાણપત્રથી સંતુષ્ટ ના હોય તેઓ કલેકટરને અરજી કરી શકશે

અમદાવાદ,તા.૨: કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે.

રિપોર્ટ્સ મુજબ ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં મહાનગરપાલિકા અને તે સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુ વિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય પરંતુ સર્ટિફિકેટમાં તેનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. સર્ટિફિકેટ અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આમના મૃત્યુનું કારણ સર્ટિફિકેટમાં સ્પષ્ટ થાય તે સહિતની કાર્યપદ્ઘતિ નક્કી કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-૪ અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર ૪-ખ્ પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

વહીવટી તંત્રને જાણ કરવા માટે શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોન દીઠ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે. તેમને અરજી કરવાની રહેશે. જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ તેમના નામ, હોદ્દા, કચેરીનું સ્થળ અને સંપર્કની વિગતો, કામકાજનો સમય વગેરે દર્શાવવાનું રહેશે.

મૃતકના પરિવારના સભ્યો પાસે મૃત્યુનું કારણ ઉપલબ્ધ ના હોય કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ ના થયો હોય અને મૃત્યુના કારણથી સંતુષ્ટ ના હોય અને કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેઓ કલેકટરને આ અંગે અરજી કરી શકશે. રજિસ્ટ્રારે અરજદારને મૃત્યુ પામ્યાનું કારણ નહીં હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે. (૨૨.૭)

કયા વિસ્તારમાં મૃત્યુના પ્રમાણપત્રની નકલ કોણ આપશે

. મહાનગરપાલિકાઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તબીબી અધિકારી

. નગરપાલિકાઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને નગરપાલિકાના મુખ્ય અધિકારી

. ગ્રામ્ય કક્ષાએઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તલાટી કમ મંત્રી

. કેન્ટોલમેન્ટ બોર્ડ, અમદાવાદઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારી

. નિર્દિષ્ઠ ઔદ્યોગિક વિસ્તાર, સ્વતંત્ર વિસ્તારઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય અધિકારી

. જંગલ વિસ્તારઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને રેન્જ ફોરેસ્ટ અધિકારી

(10:52 am IST)