Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સાબરમતીમાં વહુના ત્રાસથી કંટાળી સાસુ દ્વારા આપઘાત

ઘરકંકાસમાં બનેલા બનાવને પગલે ભારે ચકચાર :વહુની સાથેના ઝઘડાથી કંટાળી સાસુએ ફિનાઇલ પી લીધું સાબરમતી પોલીસની ટીમે બનાવ અંગે તપાસ હાથ ધરી

અમદાવાદ, તા.૩ :શહેરના સાબરમતી વિસ્તારમાં પોતાની વહુના વારંવારના ઝઘડા અને ત્રાસથી કંટાળી વૃધ્ધ સાસુએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે સાબરમતી પોલીસે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સાબરમતી વિસ્તારમાં જવાહર ચોક પાસે ભવસાગર સોસાયટી ખાતે રહેતા સાસુ ચંપાબહેન અને તેમની પૂત્રવધુ ભાવનાબહેન વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો રહેતો હતો અને બંને સાસુ-વહુ વચ્ચે ઝઘડા ચાલુ રહેતા હતા. વહુ દ્વારા પોતાની સાસુને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર ઝઘડો કરી દબાણ ઉભુ કરાતું હતું, જેને લઇ બંન વચ્ચે કજિયાનું પરિણામ ચરમસીમાએ પહોંચ્યું હતું. વહુના વારંવારના ઝઘડાથી આખરે સાસુ ચંપાબહેને પોતાના ઘરમાં ફિનાઇલ પી લીધુ હતું, જેના લીધે તેમની તબિયત ગંભીર રીતે લથડી હતી. તબિયત વધુ ગંભીર બનતાં વૃધ્ધ સાસુને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મરનાર સાસુની પુત્રી ઉષાબહેને આ બનાવ અંગે આરોપી વહુ ભાવનાબહેન વિરૂધ્ધ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વહુની ધરપકડ કરી સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી. વહુના ત્રાસથી કંટાળી સાસુની આત્મહત્યાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલા સુરતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા બેંક મેનેજરની પત્નીએ સાસુને એટલો ત્રાસ આપ્યો કે, સાસુએ કંટાળીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

 

(8:45 pm IST)