Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કિરીટ સોલંકીએ સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રારંભ કરાવ્યું

ડો.સોલંકીએ ખુદ સિવિલ સંકુલમાં સફાઇ કરીઃ સુખાકારી, તંદુરસ્ત વાતાવરણ માટે સ્વચ્છતા અનિવાર્ય

અમદાવાદ, તા.૩: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા સ્વચ્છતા સંબંધી કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને ભાજપના સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ ખૂલ્લું મુક્યું હતું. ખુદ ભાજપના સાંસદ ડો.કીરીટ સોલંકીએ સિવિલ હોસ્પિટલ સંકુલમાં સફાઇ અભિયાન હાથ ધરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૫ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર, ૨૦૧૮ વેળા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીનાં ૧૫૦ વર્ષની ઉજવણી પૂર્વે અને સ્વચ્છ ભારત મિશનની ૪થી વાર્ષિક ઉજવણીનાં ભાગરૂપે આ ઝુંબેશ યોજવામાં આવી હતી. ડો. કિરીટભાઈ સોલંકી સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર, ઈન્ડિયન ઓઈલ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, એલપીજી વિતરકો વગેરેએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલનાં ઈડી-જીએસઓ શ્રી એસએસ લાંબાએ મહેમાનોને આવકાર આપીને ઈન્ડિયન ઓઈલ દ્વારા સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ અને સમાજ માટે લેવામાં આવી રહેલા પગલાંઓની વિગતોની જાણકારી પૂરી પાડી હતી. માનનીય સાંસદ કિરીટભાઈ સોલંકીએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મુકીને સમજાવ્યું કે શારીરિક સુખાકારી અને તંદુરસ્ત વાતાવરણ માટે સ્વચ્છતા કેવી રીતે ઉપયોગી છે. તેમણે ઘરોમાં ટોઈલેટ્સની સુવિધાના અભાવે ખુલ્લામાં જન મહિલાઓની અસમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મહાત્મા ગાંધીને પણ શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન માટે સ્વચ્છ ભારત મિશન તે સામુદાયિક ચળવળ છે. સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમારે સ્વચ્છતાની મહત્તા પર ભાર મુક્યો હતો. ઈન્ડિયન ઓઈલ અને સિવિલ હોસ્પિટલનાં કર્મચારીઓએ સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડો. કિરીટભાઈ સોલંકીએ આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ દ્વારા ગુજરાતમાં સ્વચ્છતા ઝુંબેશ અંગે કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી.

(10:07 pm IST)